અમદાવાદ શહેરમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક રિટર્ન/બાઉન્સ) હેઠળ વધતા જતા કેસોના ભારણને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવા વહીવટી સ્તરે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. એચ. ખંભાતી દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 1 ઓગસ્ટ 2024 થી ખાનગી પક્ષકારો વચ્ચેના ચેક રિટર્નના તમામ કેસોને લાલદરવાજા સ્થિત વિશેષ કોર્ટોમાંથી ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
નવા આદેશ મુજબ, લાલદરવાજાના અપના બજાર ખાતે કાર્યરત ચેક રિટર્નની સ્પેશિયલ કોર્ટોમાં હવે માત્ર સંસ્થાકીય કેસોની જ સુનાવણી થશે. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC), નાણાકીય સંસ્થાઓ અથવા કાયદેસર લોન આપતી સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલા કેસો જ આ સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. જ્યારે બીજી તરફ, વેપારીઓ વચ્ચે માલના લેવડ-દેવડના ચેક, મિત્રતા કે ઓળખાણમાં હાથ ઉછીના આપેલા પૈસા પરત ન મળવા અંગેના તમામ ખાનગી કેસો હવે ઘી કાંટા સ્થિત રેગ્યુલર કોર્ટોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ કેસોની ફાળવણી પોલીસ મથક વિસ્તાર મુજબ કરવામાં આવશે.
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લાના જણાવ્યા અનુસાર, કોર્ટમાં કેસોનું ભારણ ઘટાડવા વહીવટી દ્રષ્ટિએ આ મોટો ફેરફાર કરાયો છે. અમદાવાદમાં હાલ ચેક બાઉન્સના આશરે સાડા ચાર લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાંથી 50 હજારથી વધુ કેસો માત્ર ખાનગી પક્ષકારો વચ્ચેના છે. કેસોની વધતી સંખ્યાને પહોંચી વળવા અગાઉ કોર્ટો વધારવા છતાં ભારણ ઘટતું ન હોવાથી આ વર્ગીકરણનો નિર્ણય લેવાયો છે.
જોકે, તમામ ખાનગી કેસો ટ્રાન્સફર નહીં થાય. એક ચોક્કસ તબક્કે પહોંચેલા કેસો અપના બજારની કોર્ટમાં જ રહેશે.
ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કેસમાં સ્ટે અથવા ખાસ નિર્દેશ અપાયા હોય.
જે કેસ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટના તબક્કે પહોંચ્યા હોય.
જે કેસમાં આખરી દલીલો ચાલી રહી હોય કે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હોય.
જે કેસમાં સમાધાન કે કેસ પાછો ખેંચવાની પ્રક્રિયા નોંધપાત્ર રીતે આગળ વધી ચૂકી હોય.
