‘અમદાવાદ પ્લેન ક્રેશના પાયલટની વાતચીત જાહેર નહીં કરીએ…’ AAIBનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

અમદાવાદમાં 12મી જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતની તપાસ સાથે સંબંધિત રૅકોર્ડ અને ખાસ કરીને કોકપિટ વોઇસ રૅકોર્ડિંગ (CVR) જાહેર કરી શકાય નહીં, કારણ કે પ્રવર્તમાન કાયદો આની મંજૂરી આપતો નથી. નોંધનીય છે કે, આ વિમાન દુર્ઘટના અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઑક્ટોબર 2026 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.

AAIB દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા અનુસાર, તપાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલી સંવેદનશીલ વિગતો કોઈપણ ત્રાહિત પક્ષ, બહારની સમિતિ કે સામાન્ય જનતા સાથે શેર કરી શકાશે નહીં. જેમ કે, કોકપીટ વોઇસ રૅકોર્ડિંગ (CVR) અને વિમાનની અંદરથી લેવાયેલા અન્ય વીડિયો કે ઓડિયો રૅકોર્ડિંગ્સ. તપાસ દરમિયાન નોંધવામાં આવેલા સાક્ષીઓના નિવેદનો. પાઇલટ, એરલાઇન અને અન્ય ટેકનિકલ સ્ટાફ વચ્ચેની આંતરિક વાતચીત. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરક્રાફ્ટ વચ્ચેનું કમ્યુનિકેશન રૅકોર્ડિંગ. અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો તેમજ ઈજાગ્રસ્તોની વ્યક્તિગત અને તબીબી માહિતી.

વિમાન દુર્ઘટનાના તપાસ નિયમો, 2025ના નિયમ 17(5) હેઠળ, કોકપીટ વૉઇસ રૅકોર્ડિંગ્સ અને ફ્લાઇટમાં રૅકોર્ડિંગ્સ જાહેર કરવા પર કાનૂની પ્રતિબંધ છે. બ્યુરો અનુસાર, જો સાક્ષીઓ અથવા એરક્રાફ્ટ ઓપરેશનમાં સામેલ વ્યક્તિઓને ડર હોય કે તેમના નિવેદનો પછીથી જાહેર કરવામાં આવશે, તો તે ખુલ્લેઆમ માહિતી જાહેર કરશે નહીં.

આ તપાસ માત્ર ભારતીય નિયમો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન(ICAO)ના અનુસૂચિ 13 અને શિકાગો કન્વેન્શન હેઠળ ચાલી રહી છે. આ તપાસનો હેતુ કોઈને ગુનેગાર સાબિત કરવાનો નથી, પરંતુ અકસ્માત પાછળના મૂળ કારણો શોધીને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવાનો છે.

12મી જૂન, 2025ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 એ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેક-ઑફ્ની ગણતરીની મિનિટોમાં જ આ વિમાન એક મેડિકલ કૉલેજની હોસ્ટેલમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે જમીન પર હાજર 19 સ્થાનિક લોકો પણ કાળનો કોળિયો બન્યા હતા

ઉલ્લેખનીય છેકે, આ કેસમાં મૃત્યુ પામેલા પાયલટ કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ, ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલોટ અને બિનસરકારી સંસ્થા (NGO) સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અરજીઓના જવાબમાં સરકારે આ એફિડેવિટ દાખલ કર્યું છે. અકસ્માત સંબંધિત બાકીની તપાસ આગામી 6 અઠવાડિયામાં પૂર્ણ કરી લેવાશે, ત્યારબાદ તમામ પાસાઓનું વિશ્લેષણ કરીને ઑક્ટોબર 2026માં ફાઇનલ રિપોર્ટનો ડ્રાફ્ટ રજૂ કરાશે.

Leave a comment