રામ મંદિર દાન ચોરી બાદ બદ્રીનાથ મંદિરમાં મોટી કાર્યવાહી

અયોધ્યા રામ મંદિરમાં દાનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ ધામમાં પણ ચઢાવાના સંચાલન પર સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયા પર ગેરરીતિના આરોપો વાઈરલ થયા બાદ બદ્રી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ મોટું એક્શન લીધું છે. CCTV ફૂટેજના આધારે પર્સનલ સેક્રેટરી સસ્પેન્ડ

મંદિર સમિતિએ મોટી કાર્યવાહી કરતા કમિટી અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી અને આરોપી પ્રમોદ નૌટીયાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. 2 જુલાઈ 2026 ના રોજ મંદિરના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ખુલાસો થયો કે, પ્રમોદ નૌટીયાલે દાનની થાળી ગણવાના સ્થળે સામાન્ય ગણતરી સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે ગુપ્ત રીતે પોતાની પાસે રાખી લીધી હતી.

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. મંદિર સમિતિએ આ પુરાવાઓના આધારે આરોપી સેક્રેટરીને ‘કારણ બતાવો નોટિસ’ ફટકારી છે અને 48 કલાકમાં લેખિત જવાબ માંગ્યો છે કે, તેણે પોતાની પાસે શું રાખ્યું હતું. સમિતિના જણાવ્યા મુજબ, આ કૃત્ય દાન ગણતરીના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે. જો તેઓ સફાઈ નહીં આપે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

BKTCના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) સોહન સિંહ રાંગડે જણાવ્યું કે, નિષ્પક્ષ તપાસ માટે 4 સભ્યોની તપાસ પેનલ બનાવવામાં આવી છે. આ સમિતિને 7 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. શરૂઆતમાં વિડિયો સ્પષ્ટ નહોતો, પરંતુ મામલાની ગંભીરતા જોઈને સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે, જે કર્મચારીને પર્સનલ સેક્રેટરી કહેવામાં આવી રહ્યા છે, તે વાસ્તવમાં મંદિર સમિતિના નિયમિત સરકારી કર્મચારી છે. જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે, તો દોષિત સામે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અધિનિયમ, 1939 અંતર્ગત કડક કાયદાકીય અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તપાસ ચાલુ હોવાથી સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવે.

આ મામલો સામે આવ્યા બાદ ઉત્તરાખંડનું રાજકારણ પણ ગરમાયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)ના આદેશ બાદ આ કેસની તપાસ ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપને સોંપવામાં આવી શકે છે. બીજી તરફ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગણેશ ગોદિયાલે આ આરોપોને ગંભીર ગણાવીને સરકાર પર નિશાન સાધ્યું છે અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ બાગનાથ મંદિર પરિસરમાં મૌન પ્રદર્શન પણ કર્યું હતું.

Leave a comment