દિલ્હીના IGI એરપોર્ટ પર શનિવારે ઓપરેશનલ સમસ્યાઓના કારણે સ્પાઇસજેટની ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. કેટલીક ફ્લાઇટ્સમાં મોડું થયું, જ્યારે કેટલીક રદ પણ કરવામાં આવી. જેના કારણે સેંકડો મુસાફરો પરેશાન થયા.
દિલ્હી એરપોર્ટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુસાફરોની માફી માંગી. એરપોર્ટના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ સ્ટાફ પ્રભાવિત મુસાફરોને જરૂરી મદદ પૂરી પાડી રહ્યો છે અને સ્પાઇસજેટ સાથે મળીને કામ કરી રહ્યો છે. સ્પાઇસજેટ તરફથી હાલમાં કોઈ નિવેદન આવ્યું નથી.
સ્પાઇસજેટની ફ્લાઇટ્સમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વિલંબની ઘટનાઓ સામે આવી રહી છે. 15 સપ્ટેમ્બરે દિલ્હીથી દુબઈ જતી બે ફ્લાઇટ્સમાં કલાકોનો વિલંબ થયો હતો. તેમાંથી એક ફ્લાઇટ લગભગ 30 કલાક અને બીજી લગભગ 19 કલાકના વિલંબ બાદ રવાના થઈ હતી. આ દરમિયાન લગભગ 200 મુસાફરોએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
સ્પાઇસજેટ લાંબા સમયથી નાણાકીય અને ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે સરકાર એરલાઇન સાથે તેના સંચાલન અને નાણાકીય સ્થિતિ અંગે સતત વાતચીત કરી રહી છે.
તેમણે જણાવ્યું કે સ્પાઇસજેટને ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે કહેવામાં આવ્યું છે અને એરલાઇને ટૂંક સમયમાં તેમાં સુધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંત્રીના જણાવ્યા અનુસાર, સ્પાઇસજેટે સરકાર પાસે વધારાની નાણાકીય મદદ માગી નથી, પરંતુ ECLGS (ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ) હેઠળ ભંડોળ એકત્ર કરવાની કોશિશ કરી રહી છે.
આ યોજનામાં સરકાર બેંકો પાસેથી લેવાતી લોન પર ગેરંટી આપે છે, જેના કારણે કંપનીઓ માટે લોન મેળવવી સરળ બને છે. એરલાઇન્સ પર વધતી ATF કિંમતો, એરસ્પેસ બંધ થવું, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઘટાડો અને વિમાનોનો ઓછો ઉપયોગ જેવી કારણોસર નાણાકીય દબાણ વધ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મે મહિનામાં ભારતીય એરલાઇન્સ માટે ECLGS 5.0ને મંજૂરી આપી હતી.
સમયસર ઉડાનના મામલે સ્પાઇસજેટનો આ વર્ષનો રેકોર્ડ મોટી એરલાઇન્સની સરખામણીએ નબળો રહ્યો છે. જુલાઈમાં એરલાઇનની માત્ર 34.5% ફ્લાઇટ્સ સમયસર સંચાલિત થઈ હતી.
જુલાઈમાં સ્પાઇસજેટનો સ્થાનિક બજાર હિસ્સો 1.6% રહ્યો, જ્યારે જૂનમાં તે 1.9% હતો. એટલે કે એક મહિનામાં હિસ્સો 0.3 ટકા પોઈન્ટ ઘટી ગયો.
જુલાઈમાં એરલાઈને લગભગ 1.87 લાખ મુસાફરોને મુસાફરી કરાવી. આ જ સમયગાળામાં ઈન્ડિગોનો હિસ્સો 67.4%, એર ઈન્ડિયા ગ્રુપનો 24% અને અકાસા એરની 5.5% રહ્યો.
