અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ એક બાદ એક વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો. જેમાં કિંજલે સ્વેચ્છાએ ગઈ હોવાનું અને અપહરણની વાત નકારી. ત્યારબાદ એક અરજી પણ પોલીસ કમિશનરને કરવામાં આવી. આ બધા વચ્ચે કિંજલ રબારી આજે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી. જેમાં તેણે કહ્યું કે કોઈ કિડનેપ નથી થયું. મરજીથી અશોક ચૌધરી સાથે રહેવું છે. આ મામલે હાઇકોર્ટે અપહરણની ફરિયાદ સામે સ્ટે આપી પોલીસ કમિશનરને તેમના જીવનની રક્ષા માટે સરકારી વકીલ સૂચના આપે તેવું કહ્યું છે.
સિંગર કિંજલ રબારીને કોર્ટે પૂછ્યું કે તમે તમારી મરજીથી રહો છો? જેમાં કિંજલે કહ્યું હા મારી મરજીથી રહું છે. કોર્ટે પૂછ્યું તમને કોઈએ કિડનેપ નથી કર્યા ને, જેના જવાબમાં કિંજલ બોલી ના કોઇએ કિડનેપ નથી કર્યા. તેના વકીલના જણાવ્યા અનુસાર કિંજલ 24 વર્ષની છે અને પતિ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે.
કિંજલે કહ્યું છે કે પહેલા પણ તેના માટે હેબિયસ કૉર્પસ અરજી ફાઇલ થઈ હતી, પરંતુ પરિવારના દબાણમાં પતિ અશોક ચૌધરી સાથે જવાની ના પાડીને પરિવાર સાથે રહી હતી.
કોર્ટે કહ્યું છે કે બંને અરજદારોને જીવનો ખતરો છે, ત્યારે પોલીસ કમિશનરને તેમના જીવનની રક્ષા માટે સરકારી વકીલ સૂચના આપે. ચાંદખેડા પોલીસ મથકે નોંધાયેલી FIR પર આગળ કાર્યવાહી માટે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ફરિયાદી અને પોલીસ સહિતનાને કોર્ટે ફોર્મલ નોટિસ આપી છે. આ મામલે વધુ કાર્યવાહી આગામી સમયમાં થશે.
6 સપ્ટેમ્બરે અમદાવાદના ચાંદખેડામાં કિંજલ રબારીનું અપહરણ થયાની મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે, અજાણ્યા શખસો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી CCTVની તપાસ કરતા કિંજલ જાતે જ કારમાં બેસતી જોવા મળી હતી. થોડીવારમાં જ કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. અપહરણ થયું હોવાનો ઈન્કાર કર્યો અને કહ્યું- હું સ્વેચ્છાએ જ મારા પતિ (અશોક ચૌધરી) પાસે આવી છું.
