રી-KYC ન થાય તો 15 સપ્ટેમ્બરથી બંધ થઈ શકે છે દુકાનદારોનું UPI

ઓનલાઈન પેમેન્ટ લેવામાં મદદ કરતી કંપનીઓએ રિઝર્વ બેંકને દુકાનદારોની રી-KYC માટે નિર્ધારિત 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવા અપીલ કરી છે.

કારણ એ છે કે દેશના લાખો નાના-મોટા દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓનું વેરિફિકેશન હજુ સુધી પૂર્ણ થયું નથી. જો RBIએ રી-KYCની છેલ્લી તારીખ નહીં લંબાવે, તો લાખો દુકાનદારોની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ શકે છે.

આનાથી જ્યારે તમે દુકાનો, લારીઓ કે ઓનલાઈન કોઈ સામાન ખરીદશો, ત્યારે UPI કે કાર્ડથી પૈસા મોકલવામાં મુશ્કેલી આવશે અને ડિજિટલ પેમેન્ટની સેવા ઠપ્પ થઈ શકે છે.

Paytm-PhonePe જેવી ઓનલાઈન પેમેન્ટ કંપનીઓનું કહેવું છે કે દેશભરમાં લાખો નાના-મોટા દુકાનદારોનું વેરિફિકેશન હજુ બાકી છે. 15 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદામાં કામ પૂરું કરવું એક મોટો પડકાર છે, તેથી તેને લંબાવવામાં આવે.

જો RBI સમય નહીં લંબાવે, તો દુકાનો અને ઓનલાઈન ખરીદી દરમિયાન પેમેન્ટ અટકી શકે છે. જે દુકાનદારોની રી-KYC 15 સપ્ટેમ્બર સુધીમાં પૂરી નહીં થઈ શકે, તેમના મર્ચન્ટ એકાઉન્ટ્સ અસ્થાયી રૂપે બ્લોક કરી શકાય છે.

રિપોર્ટ્સ અનુસાર, QR કોડનો ઉપયોગ કરતા લગભગ 30%થી 35% નાના અને લારી-ગલ્લાવાળા દુકાનદારો પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત લગભગ 10 લાખ નાના ઓનલાઈન બિઝનેસનું પણ પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ શકે છે.

પેટીએમ-ફોનપે જેવી કંપનીઓ પાસે નાના શહેરો અને ગામડાઓમાં લાખોની સંખ્યામાં સાઉન્ડ બોક્સ અને QR સ્ટેન્ડી લાગેલા છે. આમાંથી ઘણા નાના અને લારી-ગલ્લાવાળા વિક્રેતાઓ છે, જેમની પાસે પૂરા પાકા દસ્તાવેજો નથી.

સખત નિયમો અને સ્થળ પર જઈને તપાસ (ફિઝિકલ વેરિફિકેશન) કરવાની શરતને કારણે તેમની સુધી પહોંચવું અને ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા ખૂબ મુશ્કેલ બની રહ્યું છે.

KYCનો અર્થ છે કે ગ્રાહક અથવા દુકાનદારની ઓળખ અને સરનામાની તપાસ કરવી. રી-KYCનો અર્થ છે તે જ તપાસને સમયાંતરે ફરીથી અપડેટ કરવી. છેતરપિંડી, બનાવટ અને કાળા નાણાના વ્યવહારોને રોકવા માટે સરકાર દુકાનદારોના કાગળો ફરીથી તપાસે છે, જેથી પેમેન્ટ સિસ્ટમ સુરક્ષિત રહે.

ગ્રાહકો અથવા વેપારીઓની માહિતીને અપડેટ રાખવા માટે સમયાંતરે તેમના ઓળખપત્ર, સરનામાના પુરાવા અને બિઝનેસ વિગતોની ફરીથી તપાસ કરવાની પ્રક્રિયાને રી-KYC કહેવામાં આવે છે.

Leave a comment