સિક્કિમની નિર્માણાધીન ટનલ પર લેન્ડસ્લાઇડ, 7 મજૂરોનાં મોત

સિક્કિમમાં સોમવારે એક ટનલ પર ભૂસ્ખલન થતાં તેનો એન્ટ્રી ગેટ બંધ થઈ ગયો, જેના કારણે અંદર હાજર 27 મજૂરો ફસાઈ ગયા. તેમાંથી 7 મજૂરોનાં મોત થયા. જ્યારે 20 મજૂરો હજુ પણ ફસાયેલા છે.

નામચી જિલ્લાના મામરિંગમાં આવેલી સમરદુંગ સુરંગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગે જણાવ્યું કે સુરંગમાં ફસાયેલા મજૂરોની સાચી સંખ્યા 27 થી ઓછી કે વધુ પણ હોઈ શકે છે.

સુરંગની અંદર ગેસ હોવાને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ઘણા બચાવકર્મીઓને અંદર જતી વખતે ચક્કર આવ્યા અને કેટલાક બેભાન પણ થઈ ગયા, જેના કારણે બચાવ કામગીરી પ્રભાવિત થઈ.

જિલ્લા અધિકારી તમલિંગે જણાવ્યું કે બપોરે લગભગ 3:40 વાગ્યે પ્રશાસનને દુર્ઘટનાની જાણ થઈ, ત્યારબાદ NDRF, SDRF, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.

સુરંગમાં પટેલ એન્જિનિયરિંગના 21 અને NHPCના 6 સહિત કુલ 27 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. પશ્ચિમ બંગાળથી પણ ગેસ-પ્રતિરોધક ઉપકરણો સાથે એક સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ લાવવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરંગમાં મિથેન ગેસ, ઓછી જગ્યા અને ખરાબ રોશનીને કારણે બચાવ અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. હાલમાં સૌથી મોટી પ્રાથમિકતા તમામ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવાની છે.

એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી છે અને ગેસ માસ્ક પહેરીને બચાવ દળ મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ટનલ તિસ્તા સ્ટેજ-6 હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માટે પટેલ એન્જિનિયરિંગ કંપની બનાવી રહી હતી.

Leave a comment