15 માર્ચે UAN એક્ટિવેશન માટેની અંતિમ તારીખ

31 માર્ચના રોજ નાણાકીય વર્ષ 2024-25ના ખતમ થવાની સાથે થોડી ડેડલાઇન્સ પણ ખતમ થઈ રહી છે. EPFO પાલનથી લઈને ટેક્સ-સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવા સુધીની દરેક બાબત માટે હવે થોડા જ દિવસો બાકી છે. અહીં અમે તમને 3 મહત્ત્વપૂર્ણ નાણાકીય સમયમર્યાદા વિશે જણાવીએ છીએ:

તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ બેંકમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સક્રિયકરણ અને આધાર સીડિંગ માટેની તારીખ 15 માર્ચ, 2025 સુધી લંબાવી હતી. EPFO એ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે તેને શક્ય તેટલી વહેલી તકે સક્રિય કરવા જણાવ્યું હતું.

UAN એ 12 અંકનો નંબર છે અને તેના દ્વારા કર્મચારીઓ તેમના PF ખાતા સંબંધિત બધી માહિતી ટ્રેક કરી શકે છે.

પીએફ ખાતાની માહિતીથી લઈને પાસબુક ડાઉનલોડ કરવા સુધી, બધું જ શામેલ છે. તમે પીએફ ઉપાડી અથવા ટ્રાન્સફર પણ કરી શકો છો.

કર્મચારી ડિપોઝિટ-લિંક્ડ વીમા યોજના હેઠળ વીમા કવરેજનો લાભ મેળવવા માટે UAN સક્રિયકરણ પણ જરૂરી છે.

આ વીમા યોજના હેઠળ EPFO ​​સભ્યોને અણધારી ઘટનાઓના કિસ્સામાં 7 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળે છે.

જે કરદાતાઓ તેમના છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન અપડેટ કરવા માંગતા હોય તેઓ 31 માર્ચ પહેલા અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે. ‘અપડેટેડ રિટર્ન’ ફાઇલ કરવા માટે તમારે ITR-U નામનું ફોર્મ ભરવું પડશે.

આ ફોર્મમાં, તમારે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનું કારણ સમજાવવું પડશે, જેમ કે સમયમર્યાદા ચૂકી જવું, આવકની ખોટી પસંદગી કરવી, અથવા મૂળ રિટર્નમાં ખોટી વિગતો ભરવી વગેરે. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની જોગવાઈ ફાઇનાન્સ એક્ટ 2022 માં રજૂ કરવામાં આવી હતી.

જો તમે હજુ સુધી કર બચત રોકાણ કર્યું નથી, તો તમે તે 31 માર્ચ સુધી કરી શકો છો. પોસ્ટ ઓફિસની આવી 5 યોજનાઓ છે જેમાં PPF, ટાઈમ ડિપોઝિટ અને સુકન્યા યોજનાનો સમાવેશ થાય છે જેમાં તમે રોકાણ કરીને કર બચાવી શકો છો.

વરિષ્ઠ નાગરિક બચત યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના

જાહેર ભવિષ્ય નિધિ

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર

ટાઈમ ડિપોઝિટ સ્કીમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ 6.50% થી ઘટાડીને 6.25% કર્યો છે. આ કારણે ઘણી બેંકોએ તેમના FD વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જોકે, તમે ૩૧ માર્ચ પહેલા બે ખાસ FD માં રોકાણ કરીને વધુ વળતર મેળવી શકો છો.

SBI ની 444 દિવસની મુદતવાળી અમૃત વૃષ્ટિ FD સામાન્ય નાગરિકોને 7.25% વ્યાજ આપી રહી છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળી રહ્યું છે.

ઇન્ડિયન બેંકના IND સુપ્રીમ 300 ડેઝ અને IND સુપર 400 ડેઝ સુપર વરિષ્ઠ નાગરિકોને 8.05% સુધીના વ્યાજ દર ઓફર કરી રહ્યા છે.

Leave a comment