બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ

આઈપીએલ 2026ની ફાઈનલ મેચના સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે આઈપીએલનો એવો નિયમ રહ્યો છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ આગામી સિઝનની ફાઈનલ રમાય છે. આ નિયમ મુજબ આ વખતે ફાઈનલ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાવાની હતી, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

IPL 2026ની ફાઈનલ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. પ્લેઓફ મેચોના સ્થળોની જે યાદી સામે આવી છે તે મુજબ, આ વખતે કુલ 3 શહેરોમાં પ્લેઓફ અને ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢનો સમાવેશ થાય છે.

બેંગલુરુ આ રેસમાં સૌથી આગળ હોવા છતાં છેલ્લી ઘડીએ યજમાની ગુમાવવાનું મુખ્ય કારણ ટિકિટ વિવાદ હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં થયેલા ટિકિટ વિવાદને કારણે આખું સમીકરણ બદલાઈ ગયું છે. ટિકિટોના વેચાણ અને તેનાથી સંબંધિત મેનેજમેન્ટ ઇશ્યુઝને ધ્યાનમાં રાખીને BCCI એ સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે.

IPL 2026ની ખિતાબી જંગ એટલે કે ગ્રાન્ડ ફાઈનલ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેગા ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બેંગલુરુને ફાઈનલની યજમાની સોંપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક એસોસિએશન અને સત્તાવાળાઓની કેટલીક એવી માંગણીઓ હતી, જે BCCIના નિર્ધારિત પ્રોટોકોલની બહાર હોવાથી ફાઈનલનું સ્થળ બદલીને અમદાવાદ કરવામાં આવ્યું છે. ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોસર આ સિઝનમાં ખાસ કિસ્સામાં પ્લેઓફની મેચો ત્રણ અલગ-અલગ સ્થળોએ આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્લેઓફ મેચોનું શેડ્યૂલ

IPL 2026ના ક્વોલિફાયર અને એલિમિનેટર મુકાબલા માટે પણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. 

ક્વોલિફાયર 1: ધર્મશાલામાં આયોજિત થશે.

એલિમિનેટર: ન્યૂ ચંદીગઢમાં રમાશે.

ક્વોલિફાયર 2: આ મેચ પણ ન્યૂ ચંદીગઢમાં જ યોજાશે.

Leave a comment