કેન્દ્ર સરકારના 5 મોટા નિર્ણય, ખેડૂતોને આપી રાહત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને લઈને અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે કુલ 1 લાખ 74 હજાર 207 કરોડ રૂપિયાના 5 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે.

સરકારે આગામી ખરીફ પાક માટે DAP અને NKPS જેવા જરૂરી ખાતરો પર સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે 41,534 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે દુનિયાભરમાં ભલે કિંમતોમાં વધઘટ થાય, પરંતુ ભારતમાં ખેડૂતોને DAPની બોરી પહેલાની જેમ જ માત્ર 1350 રૂપિયામાં મળતી રહેશે. ખર્ચનો વધારાનો બોજ સરકાર પોતે ઉઠાવશે.

ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે સરકારે HPCL રાજસ્થાન રિફાઇનરી લિમિટેડના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 79,459 કરોડ રૂપિયાનું મોટું ભંડોળ મંજૂર કર્યું છે. આ પ્રોજેક્ટ માત્ર રાજસ્થાનનું આર્થિક ચિત્ર જ નહીં બદલે, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની હજારો નવી તકો પણ ઊભી કરશે.

જયપુર શહેરમાં ટ્રાફિક જામની વધતી સમસ્યાને ઉકેલવા માટે 41 કિલોમીટર લાંબી જયપુર મેટ્રોના બીજા તબક્કા(ફેઝ-2)ના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 13,038 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેના નિર્માણથી લાખો દૈનિક મુસાફરોની મુસાફરી અત્યંત સરળ અને સુરક્ષિત બની જશે.

ભવિષ્યમાં વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે સરકારે 1,720 મેગાવોટની ક્ષમતા ધરાવતા ‘કમલા હાઇડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ’ને અંતિમ મંજૂરી આપી દીધી છે. આ વિશાળ જળવિદ્યુત પરિયોજના પર 26,070 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે કેબિનેટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત 1,200 મેગાવોટના ‘કલાઈ-II હાઇડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ’ પર પણ મહોર મારવામાં આવી છે, જેના નિર્માણ પાછળ 14,106 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Leave a comment