ભારતીય સુરક્ષા એજન્સીઓએ મિઝોરમ સરહદ પર એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રશિયન એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે અમેરિકી અને યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરી હતી.
પકડાયેલા લોકો પર ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, આ ગેંગ મ્યાનમારના સશસ્ત્ર જૂથોને તાલીમ આપી રહી હતી. ટુરિસ્ટ વિઝાની આડમાં મ્યાનમારના વિદ્રોહી જૂથોને ડ્રોન અને આધુનિક યુદ્ધ તકનીકની તાલીમ આપવામાં આવી રહી હતી.
આ લોકો ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા, પરંતુ મિઝોરમમાં પરવાનગી વિના ગેરકાયદેસર માર્ગે પહોંચ્યા અને અહીંથી પડોશી દેશ મ્યાનમારની સરહદમાં ઘૂસી ગયા. સૂત્રો અનુસાર, અન્ય 8 યુક્રેનિયનોની શોધખોળ ચાલુ છે. કુલ 14-15 લોકોનું જૂથ હતું. આ લોકો યુરોપથી મોટા પાયે ડ્રોન પહોંચાડી રહ્યા હતા, જે સંભવતઃ ભારત સાથે સંકળાયેલા ઉગ્રવાદી જૂથો સુધી પહોંચી શકતા હતા.
આરોપીઓ ઘણી વખત તાલીમ આપવા આવી ચૂક્યા છે. આ વખતે તેઓ ગુવાહાટી પહોંચ્યા અને પછી મિઝોરમથી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશ્યા, જ્યાં તાલીમ આપી. ભારતમાં પાછા ફરતા NIAએ 13 માર્ચ 2026ના રોજ તેમને પકડ્યા.
3 યુક્રેનિયન નવી દિલ્હી એરપોર્ટ અને અન્ય 3 લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પરથી પકડાયા. જ્યારે અમેરિકી નાગરિક મેથ્યુ એરોન વેનડાઇકને કોલકાટા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો. હવે તેમની ડિજિટલ ફૂટપ્રિન્ટ અને છેલ્લા મહિનાઓની ગતિવિધિઓ ટ્રેક કરવામાં આવી રહી છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેમને 27 માર્ચ સુધી NIAની કસ્ટડીમાં મોકલી દીધા છે. આ દરમિયાન ઘટનાને લઈને પૂર્વોત્તર રાજ્યો મણિપુર, આસામ, મિઝોરમ વગેરેમાં એલર્ટ વધારી દેવામાં આવ્યું છે.
મેથ્યુ એરોન વેનડાઈક અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરનો રહેવાસી છે. તે એક ભાડૂતી સૈનિક, ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, સુરક્ષા વિશ્લેષક અને ‘સન્સ ઓફ લિબર્ટી ઇન્ટરનેશનલ (SOLI)’ નામની સંસ્થાનો સ્થાપક છે. મેથ્યુએ વોર કોરેસ્પોન્ડન્ટ અને બિઝનેસમેન તરીકે પણ કામ કર્યું છે.
તે પહેલીવાર 2011માં લિબિયાના ગૃહ યુદ્ધ દરમિયાન ચર્ચામાં આવ્યો, જ્યારે તે મુઅમ્મર ગદ્દાફીના શાસન વિરુદ્ધ વિદ્રોહી દળોમાં સામેલ થયો. આ પછી તેણે ઇરાકમાં ISIS વિરુદ્ધ લડાઈ લડી, સીરિયામાં બળવો કરવામાં મદદ કરી અને 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં લોકોને તાલીમ આપી.
એજન્સીનો આરોપ છે કે વેન ડાઈક મ્યાનમાર સંબંધિત શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હતા, જે ભારતની સુરક્ષા માટે ખતરો બની શકે છે.
મ્યાનમારના ગૃહ યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. NIA સૂત્રોનું માનવું છે કે આ ડ્રોન હવે ભારતના ઉગ્રવાદીઓ સુધી પહોંચી શકે છે. આનાથી પૂર્વોત્તરમાં ડ્રોન હુમલાનો ખતરો વધશે. અહીં મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ અને વંશીય સંઘર્ષને કારણે અગાઉ પણ વિદેશી ભાડૂતી સૈનિકો કે ટ્રેનર્સના આગમનના અહેવાલો આવી ચૂક્યા છે.
મિઝોરમ-મ્યાનમાર સરહદ પર લાંબા સમયથી અસ્થિરતા પ્રવર્તી રહી છે. અહીં ચિન સ્ટેટ (મ્યાનમારનો ભાગ, જે મિઝોરમ સાથે જોડાયેલો છે), અરાકાન આર્મી (રાખાઈનમાં) અને અન્ય સશસ્ત્ર વંશીય સંગઠનો જેવા કે ચિન નેશનલ આર્મી, ચિન નેશનલ ફ્રન્ટ વગેરે સૈન્ય જુન્ટા સામે લડી રહ્યા છે.
ભારત માટે ચિંતા એટલા માટે છે કે આમાંથી ઘણા જૂથો ભારતના ઉગ્રવાદી સંગઠનો, જેમ કે ઉલ્ફા (આઈ), એનએસસીએનના કેટલાક જૂથો, કુકી નેશનલ આર્મી વગેરે સાથે જોડાયેલા છે. આ જૂથો હથિયારો, ડ્રગ્સ અને હવે ડ્રોન ટેકનોલોજીની આપ-લે કરે છે.
