અનિલ અંબાણી પર ₹2,220 કરોડની છેતરપિંડીનો નવો કેસ

અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) વિરુદ્ધ CBIએ છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીનો આરોપ છે કે અનિલ અંબાણી અને તેમની કંપનીએ વર્ષ 2013થી 2017ની વચ્ચે બેંક ઓફ બરોડા (BoB) સાથે 2,220 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે.

બેંકની ફરિયાદ મળ્યા બાદ CBIએ ગુરુવારે અનિલ અંબાણીના ઘર અને રિલાયન્સ કોમ્યુનિકેશનના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી લોન ટ્રાન્ઝેક્શન સંબંધિત ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા અનિલ અંબાણી આજે અન્ય એક કેસમાં ED સમક્ષ હાજર થયા હતા.

CBI અનુસાર બેંક ઓફ બરોડાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે રિલાયન્સ કમ્યુનિકેશન્સે બેંક પાસેથી લોન લીધી, પરંતુ તે પૈસાનો ઉપયોગ નિર્ધારિત કામ માટે કરવાને બદલે પોતાની જ બીજી કંપનીઓમાં (સંબંધિત પક્ષો) નકલી ટ્રાન્ઝેક્શન બતાવીને ડાયવર્ટ કરી દીધા. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિને કારણે બેંક ઓફ બરોડાને 2,220 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની કંપનીનું આ ખાતું 2017માં જ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર થઈ ગયું હતું. જોકે, અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, ત્યારબાદ કોર્ટે આ ખાતાને ‘ફ્રોડ’ જાહેર કરવા પર રોક લગાવી દીધી હતી. આ સ્ટે 23 ફેબ્રુઆરી 2026ના રોજ હટાવી લેવામાં આવ્યો. સ્ટે હટાવતા જ બેંક ઓફ બરોડાએ ફરિયાદ નોંધાવી અને CBIએ તાત્કાલિક કાર્યવાહી કરીને કેસ દાખલ કર્યો.

ફરિયાદ મુજબ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM), રિલાયન્સ ઇન્ફ્રાટેલ (RITL) અને રિલાયન્સ ટેલિકોમ (RTL) એ બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ 31,580 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જેમાંથી:

  • 6,265.85 કરોડ રૂપિયા અન્ય બેંકોની લોન ચૂકવવામાં ખર્ચ કરવામાં આવ્યા.
  • 5,501.56 કરોડ રૂપિયા પોતાની જ સંલગ્ન કંપનીઓને આપવામાં આવ્યા.
  • 3,674.85 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવામાં આવ્યા, જેને તરત જ કાઢીને અન્ય પક્ષોને ચૂકવી દેવામાં આવ્યા.

બેંકનું કહેવું છે કે આ સ્પષ્ટપણે લોનની શરતોનું ઉલ્લંઘન છે. રિલાયન્સ ઇન્ફ્રાટેલ દ્વારા એકત્ર કરાયેલા 1,783.65 કરોડ રૂપિયાનો ઉપયોગ પણ RCOMએ પોતાની દેવાદારીઓ ચૂકવવા અથવા સંલગ્ન કંપનીઓને ટ્રાન્સફર કરવામાં કર્યો.

5 જૂન 2017ના રોજ આ ખાતાને NPA જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે કંપની લોન ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. બાદમાં થયેલી ફોરેન્સિક તપાસમાં પુષ્ટિ થઈ કે ફંડ સાથે હેરાફેરી કરવામાં આવી છે અને આ બધું જાણી જોઈને છેતરપિંડીના ઇરાદાથી કરવામાં આવ્યું છે.

FIRમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણી અને તેમની કંપનીઓએ એક સુનિયોજિત ગુનાહિત ષડયંત્ર હેઠળ બેંકને નુકસાન પહોંચાડ્યું અને પોતાને ફાયદો પહોંચાડવા માટે પૈસાની ઉચાપત કરી.

આ પહેલા દિવસે અનિલ અંબાણી કથિત બેંક છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા. અધિકારીઓએ જણાવ્યું કે PMLA (પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

આ પહેલા ઓગસ્ટ 2025માં પણ તેમની પૂછપરછ થઈ હતી. આ તપાસ તેમની ગ્રુપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા કરવામાં આવેલી 40,000 કરોડ રૂપિયાથી વધુની કથિત બેંક છેતરપિંડી સાથે સંકળાયેલી છે.

Leave a comment