આજથી નવા નિયમો લાગુ થતાં AI કન્ટેન્ટ પર લેબલ ફરજિયાત

જો કોઈ ફોટો, વીડિયો કે ઑડિયો AIની મદદથી બનાવવામાં આવ્યો હોય, તો તેના પર ‘લેબલ’ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ વાંધાજનક કન્ટેન્ટને ફરિયાદ મળ્યાના માત્ર 3 કલાકની અંદર હટાવવું પડશે. આ નવા નિયમો આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ ગયા છે. 10 ફેબ્રુઆરીએ તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

આ નિયમો લાગુ થવાના એક દિવસ પહેલા એટલે કે, 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AI સમિટમાં પણ લેબલને લઈને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે- જેમ ખાવાના સામાન પર ‘ન્યુટ્રિશન લેબલ’ હોય છે, તેમ જ ડિજિટલ કન્ટેન્ટ પર પણ લેબલ હોવું જોઈએ. આનાથી લોકોને ખબર પડશે કે શું અસલી છે અને શું ફેબ્રિકેટેડ, એટલે કે AIથી બનાવવામાં આવ્યું છે.

મેટાડેટા સાથે ચેડાં કરશો તો પોસ્ટ ડિલીટ થશે

1. AI લેબલ: વીડિયો પર ડિજિટલ સ્ટેમ્પ

  • જેમ ખાવાના પેકેટ પર લખેલું હોય છે કે તે ‘શાકાહારી’ છે કે ‘માંસાહારી’, તેવી જ રીતે હવે દરેક AI વીડિયો, ફોટો કે ઓડિયો પર એક લેબલ લાગેલું હશે.
  • ધારો કે તમે AIથી એક વીડિયો બનાવ્યો જેમાં કોઈ નેતા ભાષણ આપી રહ્યા છે, તો તે વીડિયોના ખૂણામાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ- “AI જનરેટેડ”.

2. ટેકનિકલ માર્કર: ડિજિટલ DNA

  • મેટાડેટાને તમે તે ફાઇલનો ‘ડિજિટલ DNA’ માની શકો છો. તે સ્ક્રીન પર દેખાતો નથી, પરંતુ ફાઇલના કોડિંગની અંદર છુપાયેલો હોય છે.
  • તેમાં આ માહિતી નોંધાયેલી હશે કે આ ફોટો કે વીડિયો કઈ તારીખે બન્યો, કયા AI ટૂલથી બન્યો અને કયા પ્લેટફોર્મ પર પહેલીવાર અપલોડ થયો.
  • જો કોઈ AI નો ઉપયોગ કરીને ગુનો કરે છે, તો પોલીસ આ ‘ટેકનિકલ માર્કર’ દ્વારા તેના અસલી સ્રોત સુધી પહોંચી શકશે.

3. છેડછાડ પર રોક: લેબલ ભૂંસી શકાશે નહીં

  • પહેલા લોકો AI દ્વારા બનાવેલા ફોટાનો ખૂણો કાપીને અથવા એડિટ કરીને તેનો ‘વોટરમાર્ક’ હટાવી દેતા હતા જેથી તે અસલી લાગે. હવે સરકારે તેને ગેરકાયદેસર બનાવી દીધું છે.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એવી ટેકનોલોજી અપનાવવી પડશે કે જો કોઈ તે લેબલ અથવા મેટાડેટાને હટાવવાનો પ્રયાસ કરે, તો કાં તો તે કન્ટેન્ટ જ ડિલીટ થઈ જાય.

જો AI નો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી, અશ્લીલતા, છેતરપિંડી, હથિયારો સંબંધિત માહિતી અથવા કોઈની નકલ કરવા માટે કરવામાં આવે છે, તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે.

IT નિયમોમાં થયેલા નવા ફેરફારો પછી હવે સોશિયલ મીડિયા કંપનીઓ પાસે કાર્યવાહી કરવા માટે ખૂબ ઓછો સમય હશે. પહેલાં કોઈ ગેરકાયદે કન્ટેન્ટને હટાવવા માટે 36 કલાકનો સમય આપવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને માત્ર 3 કલાક કરી દેવામાં આવ્યો છે.

હવે જ્યારે પણ કોઈ યુઝર સોશિયલ મીડિયા પર કંઈ અપલોડ કરશે, તો પ્લેટફોર્મને તેની પાસેથી આ ઘોષણા લેવી પડશે કે શું આ કન્ટેન્ટ AI દ્વારા બનાવવામાં આવ્યું છે. કંપનીઓએ એવા ટૂલ્સ તૈનાત કરવા પડશે જે યુઝરના આ દાવાની તપાસ કરી શકે. જો કોઈ પ્લેટફોર્મ AI કન્ટેન્ટને ડિસ્ક્લોઝર વિના પબ્લિશ થવા દે છે, તો તેના માટે તે પોતે જવાબદાર ગણાશે.

માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આ પગલું ‘ઓપન, સેફ, વિશ્વસનીય અને જવાબદાર ઇન્ટરનેટ’ બનાવવા માટે છે. આ જનરેટિવ AI થી આવતી ખોટી માહિતી, ઓળખની ચોરી અને ચૂંટણીમાં હેરાફેરી જેવા જોખમોને નિયંત્રિત કરશે. આનાથી ઇન્ટરનેટ વધુ ભરોસાપાત્ર બનશે.

Leave a comment