T20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે પાકિસ્તાનનું નાટક

ભારતમાં યોજાનારા T20 વર્લ્ડકપને લઈને બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વીએ નવું નાટક કરીને કહ્યું છે કે, પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે કે નહીં, તેનો નિર્ણય કરવા માટે વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે મુલાકાત કરી હતી. વહેલો નિર્ણય લેવાની આશા હતી, જોકે હવે અંતિમ નિર્ણય શુક્રવારે કે આગામી સોમવારે લેવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, જો પાકિસ્તાન રમવાનો ઇન્કાર કરશે તો પીસીબી જાણે છે કે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બાંગ્લાદેશને રમવા માટે મનાવી શકે છે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, ‘જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લેશે તો આઇસીસી બાંગ્લાદેશની માંગ સ્વીકારીને, તેને ગ્રૂપ-એમાં સામેલ થવાની તક આપી શકે છે. એટલે કે બાંગ્લાદેશે માંગ કરી છે કે, તેની તમામ મેચો ભારતના બદલે શ્રીલંકામાં ખસેડવામાં આવે.’

હવે બાંગ્લાદેશની ટુર્નામેન્ટમાં એન્ટ્રી થશે કે નહીં, તે પાકિસ્તાન પર નિર્ભર છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાન બાંગ્લાદેશના સમર્થનમાં ડ્રામા કરી રહ્યો છે. પીસીબીએ બાંગ્લાદેશને સમર્થન આપી ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો વિચાર કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, જો પાકિસ્તાન ખસી જશે તો આઇસીસી પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશને પ્રથમ તક આપી શકે છે.

પાકિસ્તાને ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં સંભાવના છે કે, તેણે ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાની ભૂલ ભારે પડશે. નક્વીએ સોમવારે કહ્યું હતું કે, ‘ભારતમાં યોજાનાર ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ રમશે કે નહીં, તે અંગે તેઓ શુક્રવારે અથવા સોમવાર સુધીમાં નિર્ણય લેશે.’ આ વિલંબના કારણે સમસ્યામાં વધારો થઈ શકે છે. રિપોર્ટ મુજબ, જો નાટક થશે તો તે પીસીબી, બીસીપીઆઇ અને આઇસીસી વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન ગણાશે.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ-2026માંથી બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિજુર રહેમાનને બહાર કરાયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) ટી20 વર્લ્ડકપમાં વિવાદ ઊભો કર્યો હતો. તેણે ભારતમાં અસુરક્ષાનું બહાનું બતાવીને તેની મેચો અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી હતી. જોકે આઇસીસીના કડક નિર્ણય બાદ બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેને સ્થાને સ્કોટલૅન્ડને તક મળી છે. ત્યારે હવે પાકિસ્તાને વિવાદ ઊભો કર્યો છે, જેના કારણે ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની એન્ટ્રીની સંભાવના આંશિક વધી ગઈ છે. તેથી ચર્ચા છે કે, આઇસીસી બાંગ્લાદેશને વર્લ્ડકપમાં લેવા માટે તેની માંગ સ્વીકારી શકે છે. કારણ કે સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ શરુ થવાનો હોવાને થોડા જ દિવસો બાકી છે.

Leave a comment