પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને MRI સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી.
10 જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જો કે ડૉક્ટરે સ્થિતિને જોતા તત્કાલ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલીવાર નથી જ્યારે ધનખડને જાહેર જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન પણ તેઓ કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં અનેક વખત જાહેર કાર્યક્રમો દરમિયાન અસ્વસ્થ થઈને બેહોશ થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે ગત્ત વર્ષે 21 જુલાઇના રોજ પોતાની ખરાબ તબિયતનો હવાલો ટાંકતા ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે, હવે તેમની પ્રાથમિકતા સ્વાસ્થ છે અને તેઓ ડોક્ટરની સલાહનું ગંભીરતાથી પાલન થઈ શકે તે માટે તત્કાલ પ્રભાવથી પોતાની જવાબદારી છોડી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલેલા પોતાના રાજીનામા અને અધિકારીક પત્રમાં ધનખડે ઉલ્લેખ કર્યો હતો કે, ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા તથા ડોક્ટર્સની સલાહનું પાલન કરવા માટે હું સંવિધાનના અનુચ્છેદ 67(એ) અંતર્ગત ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી મારુ રાજીનામું આપું છું.’
