અવિરત જનમેદની; ઠેર-ઠેરથી સન્માન અને શુભ-કામનાઓનો વરસાદ
શિરાચા, 19-12-2025: શિરાચા મધ્યે આવેલા શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર ખાતે અદાણી પોર્ટસ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં આજે પણ વિવિધ ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રોતાઓ ઉમટી પડ્યા હતા. આજે સવારે 09:00 વાગ્યાથી કથાવક્તા પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાઠનું વાંચન શરૂ કર્યું હતું.
આજની કથામાં પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું હતું તેમજ પ્રભુભક્તિ અને પિતૃભક્તિનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે પરિવારમાં પિતાનું સ્થાન અત્યંત મહત્વનું છે. પુત્ર કેટલો પણ મોટો થઈ જાય, પરંતુ નિરાશાની પરિસ્થિતિમાં પિતાનો ટેકો હોય તો તે મનોબળ પૂરું પાડે છે. તેથી તીર્થસ્થાનો કરતાં પહેલાં પોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા એ જ સૌથી મોટું તીર્થ છે.
કથા વિરામના અંતે અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી વી.એસ. ગઢવીએ ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે આટલા મહાકાર્યનું આયોજન માત્ર કંપની દ્વારા જ નહીં, પરંતુ આસપાસના જનસમુદાયના સહભાગીથી શક્ય બન્યું છે. આવા અદભૂત આયોજનથી કંપની અને લોકો વચ્ચે અનોખો જનસંપર્ક સ્થાપિત થયો છે અને લોકો તરફથી વ્યાપક સરાહના પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે પધારેલ ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંઢા, અદાણી ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી વી.એસ.ગઢવી, જાણીતા લોકગાયક શ્રી નિલેશભાઈ ગઢવી, મુન્દ્રા મામલતદાર શ્રી કે.એસ. ગોંદિયા, મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ત્રિવેદી, મુંદ્રા સિટી પોલીસ ઇન્સ્પેકર શ્રી આર. જે. ઠુમ્મર, શ્રી દિલીપદાદા (મોરજર), દિનેશગીરીજી બાપુ (કોટેશ્વર), સુરેશદાસજી મહારાજ (વિરાણી), મુકુલદાસજી મહારાજ (બીબર), મહાત્માશ્રી (કલ્યાણેશ્વર મહાદેવ), સહિત સામાજિક, રાજકીય, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, ઔદ્યોગિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તેમજ વિવિધ ગામોના આગેવાનો સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજની કથામાં આવેલા શ્રોતાઓમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તથા વિવિધ સંગઠનોના પ્રમુખોએ પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશી તથા શ્રી રક્ષિતભાઈ શાહ અને શ્રીમતી અમીબેન શાહનું સન્માન કર્યું હતું.
