દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોમાં તાજેતરમાં ફ્લાઈટ્સ રદ થવા અને મેનેજમેન્ટની ગેરરીતિઓના કારણે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કડક પગલું ભર્યું છે. DGCAએ એરલાઈનના કામકાજ પર ચાંપતી નજર રાખવા માટે આઠ સભ્યોની એક વિશેષ નિરીક્ષણ ટીમની રચના કરી છે.
બુધવારે DGCA દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નિરીક્ષણ ટીમના બે અધિકારીઓ સીધા જ એરલાઈનના કોર્પોરેટ કાર્યાલયમાં તહેનાત કરવામાં આવશે. આ બે અધિકારીઓને એરલાઇનના કુલ વિમાનો, તમામ વિમાનોમાં નિર્ધારીત કરાયેલ અંતર, પાઈલોટની કુલ સંખ્યા, ક્રૂના ઉપયોગના કલાકો અને તાલીમ હેઠળના ક્રૂ વગેરેની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
DGCAએ એવું પણ કહ્યું છે કે, બંને અધિકારીઓ રોજ ઓપરેટ થતી ફ્લાઈટ, કર્મચારીઓની રજાઓ, ક્રૂની અછતના કારણે ઉભી થતી સમસ્યા, સ્ટેન્ડ બાય રહેલા કોકપિટ અને કેબિન ક્રૂની સંખ્યા સહિતની બાબતો પર નજર રાખશે.
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ થવાની સ્થિતિ, મુસાફરોના રિફંડ, ઓન-ટાઈમ પર્ફોમન્સ અને નાગરિક ઉડ્ડયન નિયમો મુજબ મુસાફરોને મળતા વળતરની દેખરેખ રાખવા માટે અન્ય બે અધિકારીઓ, એક વરિષ્ઠ આંકડા અધિકારી અને એક નાયબ નિયામકને પણ ઈન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં તહેનાત કરવામાં આવ્યા છે.
પાઈલટો અને અન્ય કર્મચારીઓ માટે આરામનો સમયગાળો વધારતા નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો લાગુ થયા પછી ઈન્ડિગોને એક સપ્તાહથી વધુ સમયથી સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સેંકડો ફ્લાઈટો રદ અને વિલંબિત થઈ છે.
