ભારત દ્વારા પહેલી વાર અવકાશમાં અંતરિક્ષયાત્રીને મોકલવામાં આવી રહ્યા છે. ISROના ચીફ વી નારાયણનનું કહેવું છે કે ગગનયાન મિશનનું 90 ટકા કામ પૂરું થઈ ગયું છે. આ માટે રોકેટ અને મોડ્યુલને સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મિશન દ્વારા ભારત ઘણી મોટી સિદ્ધિ હાંસલ કરી શકશે.
ગગનયાન મિશનમાં ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જશે. જોકે તેમના જવા પહેલાં ત્રણ વાર ટેસ્ટ મિશન કરવામાં આવશે. એટલે કે ગગનયાનને ત્રણ વાર મનુષ્ય વગર સ્પેસમાં મોકલવામાં આવશે. આ ટેસ્ટમાં વ્યોમમિત્ર હ્યુમન રોબોટને મોકલવામાં આવશે. તે ત્યાં જઈને ડેટા કલેક્ટ કરશે. તેમ જ મિશનને સેફટી કેટલી છે એ માટે આ ટેસ્ટ મિશન કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ISRO દ્વારા સ્પેશિયલ પેરાશૂટ પણ બનાવવામાં આવ્યા છે. આ પેરાશૂટ દરિયામાં ખૂબ જ સારી રીતે સ્પેસક્રાફ્ટને લેન્ડ કરે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ત્રણ મિશન સફળ રહ્યા તો પહેલું મનુષ્ય સાથેનું મિશન 2027માં મોકલવામાં આવશે.
ગગનયાન મિશન દ્વારા ભારતને ઘણી સિદ્ધિઓ હાંસલ થતી જોવા મળશે. એમાં એક સિદ્ધિ મનુષ્યને સ્પેસમાં મોકલવાની પણ છે. દુનિયામાં ઘણાં ઓછા દેશ છે જેમણે તેમના અંતરિક્ષ યાત્રીઓને મિશન માટે સ્પેસમાં મોકલ્યા હોય. આ યાદીમાં હવે ભારતનું પણ નામ જોડાશે. આ ફક્ત એક મિશન નથી, પરંતુ એના દ્વારા ભારતનું ભવિષ્યમાં ડોકિંગ સિસ્ટમ કેવી હશે એના પર કામ કરવામાં આવશે. તેમ જ ઇન્ડિયાનું પોતાનું ભારતીય અંતરિક્ષ સ્ટેશન પણ હશે. આથી સ્પેસ એક્સપ્લોરેશનમાં ભારત ખૂબ જ મોટા પાયા પર કામ કરી રહ્યું છે.
