કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક મોટી ઘટના બની હતી. જેમાં કતાર એરવેઝની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, કતાર એરવેઝની આ ફ્લાઇટ દોહાથી હોંગકોંગ જઈ રહી હતી. વિમાનની ઉડાન દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાયલટે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય મોકલી દેવાઈ હતી.

Leave a comment