કાલથી નવા GST દર લાગુ : GST બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં સુધારા લાગુ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું, કે ‘નવરાત્રિના પ્રથમ દિવસથી GST બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમે તમારી મનપસંદ વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકશો. દેશના ગરીબ, મિડલ ક્લાસ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઑને આ બચત ઉત્સવનો લાભ મળશે. તહેવારોની સિઝનમાં સૌ કોઈનું મોં મીઠું થશે.’ 

બીજા શહેરમાં માલ-સામાન પાઠવવો હોય તો અનેક મંજૂરીઓ લેવી પડતી તથા ટેક્સ ભરવા પડતાં. વિવિધ સ્થળો પર ટેક્સના જુદા જુદા નિયમો હતા. 2014માં એક કંપનીને કોઈ માલ-સામાન બેંગલુરુથી હૈદરાબાદ મોકલવો હોય તો, માલ-સામાન બેંગલુરુથી સીધું જ હૈદરાબાદ મોકલો તેની સરખામણીમાં માલ-સામાન પહેલા યુરોપ મોકલી ત્યાંથી હૈદરાબાદ મોકલવો સરળ પડતો. 

PM મોદીએ કહ્યું, કે ‘દેશની વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યના સપનાઓને જોતાં GSTમાં સુધારા લાગુ થશે. હવેથી માત્ર 5 અને 18 ટકા એમ બે જ સ્લેબ રહેશે. ખાણીપીણીનો સામાન, દવાઓ, સાબુ, બ્રશ, આરોગ્ય વીમા સહિત અનેક સામાન-સેવાઓ સસ્તી થઈ જશે. જે સામાન અગાઉ 12 ટકા ટેક્સ લગાવાતો હતો, તેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા સ્લેબમાં સમાવાઈ છે. 

આ વર્ષે જ સરકારે 12 લાખ રૂપિયાની સુધીની આવક પર આવકવેરા પર રાહત આપી. હવે GSTમાં સુધારાના કારણે લોકોને ડબલ ગિફ્ટ મળી છે. ઘર માટે ટીવી, ફ્રિજ, બાઈક કે કાર ખરીદવી સસ્તી થઈ જશે. હવે ફરવા જવું પણ સસ્તું થઈ જશે કારણ કે હોટલ રૂમના ભાડા પર પણ GST ઘટાડવામાં આવ્યો છે. મને ખુશી છે કે આ સુધારાથી વેપારીઓ પણ ખુશ છે. 

PM મોદીએ દાવો કર્યો છે કે આવકવેરા અને GSTના છૂટનો સરવાળો કરીએ તો છેલ્લા એક વર્ષમાં લેવાયેલા નિર્ણયના કારણે દેશના લોકોની અઢી લાખ કરોડ રૂપિયાની બચત થશે. 

PM મોદીએ આત્મનિર્ભર ભારતની હાંકલ કરતાં કહ્યું કે, GSTમાં સુધારાના કારણે MSMEsને પણ ડબલ ફાયદો થવાનો છે. મારી તમારાથી ઘણી અપેક્ષા છે. ભારતની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. આપણાં દેશમાં તૈયાર થયેલી પ્રોડક્ટ્સ દુનિયામાં દરેક કસોટી પર શ્રેષ્ઠ હોવી જોઈએ. ઉદ્યોગો એવી પ્રોડક્ટ્સ બનાવે જે દુનિયામાં ભારતનું ગૌરવ વધારે. દેશની સમૃદ્ધિને સ્વદેશીના મંત્રથી જ શક્તિ મળશે. આપણાં રોજબરોજની વસ્તુઓમાં વિદેશી વસ્તુઓ જોડાઈ ગઈ છે. આપણે તેનાથી પણ મુક્તિ મેળવવી પડશે. આપણે મેડ ઈન ઈન્ડિયા સામાન જ ખરીદવો જોઈએ. 

PM મોદીએ ભારતની તમામ રાજ્ય સરકારોને અપીલ કરતાં કહ્યું, કે આત્મનિર્ભર ભારતના અભિયાનમાં તમે પણ જોડાઓ અને તમારા રાજ્યમાં રોકાણ માટે માહોલ બનાવો. મેન્યુફેક્ચરિંગને ગતિ આપો. કેન્દ્ર અને રાજ્ય મળીને આગળ વધશે તો દરેક રાજ્ય વિકસિત થશે અને ભારત વિકસિત થશે. 

Leave a comment