મુંબઈને બ્લાસ્ટની ધમકી આપનારો આરોપી નોઈડાથી અરેસ્ટ

મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિસ્ફોટ કરવાની ધમકી આપનારી વ્યક્તિની શનિવારે ઉત્તરપ્રદેશના નોઈડાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ 50 વર્ષીય અશ્વિન કુમાર સુપ્રા તરીકે થઈ છે. તે બિહારના પટનાનો વતની છે અને છેલ્લાં 5 વર્ષથી નોઈડામાં રહેતો હતો અને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો.

આરોપીએ ગુરુવારે મોડીરાત્રે ​​​​વ્હોટ્સએપ પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘લશ્કર-એ-જેહાદીના 14 આતંકવાદી મુંબઈમાં ઘૂસી ગયા છે. આતંકવાદીઓએ 34 વાહનમાં 400 કિલો RDX ફિટ કર્યું છે. તેઓ એક મોટો વિસ્ફોટ કરવા જઈ રહ્યા છે, જેમાં એક કરોડ લોકોનો ભોગ લઈ શકાય છે.’

નોઈડા પોલીસે આરોપીને નોઈડા સેક્ટર-79ની એક સોસાયટીમાંથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નોઈડા પહોંચી અને આરોપીને પોતાની સાથે મુંબઈ લાવી. પોલીસે આરોપીનો ફોન અને સિમ કાર્ડ પણ જપ્ત કર્યું છે, જેનાથી તેણે ધમકી આપી હતી.

 ક્રાઈમ બ્રાન્ચ આરોપીને નોઈડાથી મુંબઈ લઈ ગઈ છે. પોલીસે આરોપીનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત તેની પાસેથી 4 સિમ કાર્ડધારકો, 6 મેમરી કાર્ડધારકો, એક સિમ સ્લોટ એક્સટર્નલ, બે ડિજિટલ કાર્ડ મળ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અશ્વિને પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2023માં તે છેતરપિંડીના કેસમાં ત્રણ મહિના માટે પટના જેલમાં હતો. ત્યાર બાદ ફિરોઝ નામની વ્યક્તિએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અશ્વિને કહ્યું હતું કે ત્યારથી તે ફિરોઝ સામે બદલો લેવા માગતો હતો, તેથી તેણે મુંબઈ પોલીસને તેના નામે મેસેજ મોકલ્યો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ફિરોઝ કોણ છે અને છેતરપિંડીનો કેસ શું હતો.

25 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક રેલવે અધિકારીએ કહ્યું હતું કે તપાસ બાદ આ ધમકી ખોટી હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી રેલવે પોલીસે જણાવ્યું હતું કે આરોપી રૂપેશ મધુકર રણપીસેએ રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે પોલીસ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેણે કલવા રેલવે સ્ટેશન પર બોમ્બ મૂક્યો છે.

Leave a comment