~ બાળકમાં ક્લબ ફૂટની ખામીની જન્મથી જ જાણ સાથે સારવાર મળી જાય તો દૂર કરી શકાય
ક્લબ ફુટ અર્થાત્ બાળકના પંજામાં રહેલી જન્મજાત ખામી,પણ આ ખોટ આજીવન નથી,કેમકે જો બાળકના જન્મથી જ તેનો ખ્યાલ આવી જાય અને સમયસર સારવાર મળે તો તે દૂર થઈ શકે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના ઓર્થો વિભાગ અને ક્યોર ઇન્ડિયા ટ્રસ્ટ અંતર્ગત ચાલતા ક્લબ ફુટ સારવાર કેન્દ્રના કાઉન્સેલર અને ઓર્થો સર્જન્સ દ્વારા જણાવાયું હતું.
કાઉન્સેલર જયવંતીબેન મેકવાને કહ્યું કે, ક્લબ ફૂટ સમસ્યાગ્રસ્ત બાળકોના માતાપિતાને માર્ગદર્શન, સારવાર તથા જાગૃતિ માટે ગ્રુપ ચર્ચાનું કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાયોગિક ધોરણે ૧૦ બાળકોના માતાપિતાને નિમંત્રવામાં આવ્યા હતા.૧૦ પૈકી ૫ બાળકોની સારવાર પ્રગતિમાં છે અને ૫ બાળકો સારવારથી સાજા થયા છે.
જ્યારે બાળકોના માતા-પિતાને સારવાર માટે સમજાવવામાં આવે છે ત્યારે તેઓ સારવાર અંગે મુંજવણમાં હોય છે, પરંતુ આવી મીટીંગમાં સારવારથી ચાલતા થયેલા બાળકોને જોઈ તેઓ પણ સારવાર લેવા પ્રોત્સાહિત થાય છે.
જી.કે.માં છેલ્લા દોઢ વર્ષમાં ૬૦ ક્લબ ફુટ વાળા બાળકોને સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કચ્છના દરેક તાલુકામાં દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં આવા બાળકોને આરબીએસ કે ડોક્ટર અને આશા વર્કર દ્વારા કેમ્પમાં લાવવામાં આવે છે.
જી.કે.માં ઓર્થો સર્જન ડો. વિવેક પટેલ,ડો.ઋષિ સોલંકીનું ક્લબ ફુટ અંગે માર્ગદર્શન તેમજ ડો.વિશાલ પુષ્કર્ણા,ડો.કેલ્વિન સુરેજા અને ડો.તેજ રૂડાણી સારવાર માટે ઉપલબ્ધ હોય છે.
