રેપોરેટમાં ત્રણ વખત ઘટાડા બાદ ચોથી વખત યથાવત્

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ વખતે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજદર 5.5% પર યથાવત્ રાખ્યા છે. આનો અર્થ એ છે કે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ વધશે નહીં. RBIએ જૂનમાં વ્યાજદર 0.50% ઘટાડીને 5.5% કર્યો હતો.

4થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે એટલે કે 6 ઓગસ્ટના રોજ આ માહિતી આપી હતી.

ભારતીય રિઝર્વ બેંક (RBI) જે દરે બેંકોને લોન આપે છે એને રેપોરેટ કહેવામાં આવે છે. જ્યારે RBI રેપોરેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને આપે છે.

RBIએ આ વર્ષે ત્રણ વખત વ્યાજદરમાં 1% ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર 6.50%થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી મોનેટરી પોલિસી કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.

એપ્રિલમાં યોજાયેલી બીજી બેઠકમાં વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂનમાં ત્રીજો દર ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં રેપોરેટ 5.50% પર છે.

કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ હોય છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે.

જો પોલિસી રેટ વધુ હોય તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાંનો પ્રવાહ ઘટે છે ત્યારે માગ ઘટે છે અને મોંઘવારી ઘટે છે.

એવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાં પ્રવાહ વધારવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને કેન્દ્રીય બેંક પાસેથી મળતી લોન સસ્તી બને છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્ય હોય છે, તેમાંથી 3 RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની બેઠક દર બે મહિને યોજાય છે.

હાલમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠક યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ હતી.

Leave a comment