ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકાત બાદ કોંગ્રેસમાંથી 2 નેતાઓના રાજીનામાં

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેમ છતાં પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 

નોંધનીય છે કે, બંનેએ રાજીનામુ આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે. 

મળતી માહિતી મુજબ, વિજય બારૈયા અને વિજય જોશીએ પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધા છે. રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારાઓએ અવગણનાનો આરોપ લગાવ્યો છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ આરોપોની વચ્ચે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલાં હજુ વધુ રાજીનામાં પડી શકે તેવી શક્યતા છે. જોકે, આડકતરી રીતે બંને કાર્યકર્તાઓએ અમિત ચાવડા પર નિશાનો સાધતા પ્રદેશ પ્રમુખ માટેના પાર્ટીના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. 

Leave a comment