સિંગાપોરના કન્ટેનર જહાજમાં થયેલા અકસ્માત બાદ તાઇવાન સરકારે ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડનો મદદ કરવા બદલ આભાર માન્યો છે.
ભારતમાં તાઇવાનએ સોશિયલ મીડિયા પર લખ્યું – “ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા ઝડપી બચાવ કાર્ય માટે તાઇવાન સરકાર આભારી છે. અમે ગુમ થયેલા ક્રૂ સભ્યોના સલામત પરત ફરવા અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ.”
ખરેખરમાં, અરબ સાગરમાં કેરળના કોચી નજીક 9 જૂને એક કન્ટેનર જહાજ MV Wan Hai 503માં વિસ્ફોટ થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માત અઝીક્કલથી 44 નોટિકલ માઇલ (લગભગ 81 કિલોમીટર) દૂર થયો હતો.
આ જહાજ શ્રીલંકાના કોલંબોથી મુંબઈના ન્હાવા શેવા બંદર તરફ જઈ રહ્યું હતું. તે 10 જૂને ત્યાં પહોંચવાનું હતું. આ જહાજમાં 2000 ટન ઓઈલ અને 240 ટન ડીઝલ હતું.
આ પહેલા ચીને સોશિયલ મીડિયા પર ભારતીય નૌકાદળ અને મુંબઈ કોસ્ટલ ગાર્ડનો પણ આભાર માન્યો હતો.
ભારતીય નૌકાદળને 9 જૂનના રોજ સવારે 9:30 વાગ્યે જહાજ દુર્ઘટનાની માહિતી મળી હતી. તેના રેસ્ક્યૂ ઓપરેશનમાં લગભગ 7 કલાકનો સમય લાગ્યો હતો.
જહાજમાં 22 ક્રૂ સભ્યો હતા, જેમાં 8 ચીની, 6 તાઇવાનના, 5 મ્યાનમારના અને 3 ઇન્ડોનેશિયન નાગરિકોનો સમાવેશ થાય છે. વિસ્ફોટ પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે ક્રૂ સભ્યોને જહાજ છોડવું પડ્યું.
ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે ઝડપથી કાર્યવાહી કરી અને પાંચ ઘાયલો સહિત 18 લોકોને બચાવ્યા. જ્યારે 4 લોકો હજુ પણ ગુમ છે. ભારતીય નૌકાદળ તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે.
ટ્વિટર પર એક પોસ્ટમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે ICG વિમાને પહેલા ઘટનાસ્થળનું મૂલ્યાંકન કર્યું હતું. ત્યારબાદ, 04 ICG જહાજોને રેસ્ક્યૂ માટે મોકલવામાં આવ્યા હતા.
સતત આગ લાગવાથી જહાજ તૂટીને દરિયામાં ડૂબી જવાનો ભય હતો. જહાજમાં 2000 ટન ઓઈલ હતું. જો જહાજ ડૂબી ગયું હોત તો ઓઈલ ગરિયામાં ફેલાઈ શક્યું હોત. આ ઉપરાંત, કેટલાક કન્ટેનરમાં ખતરનાક કેમિકલ હોવાને કારણે સલામતીની ચિંતાઓ પણ હતી.
કેરળના બંદર મંત્રી વીએન વાસવને ગઈકાલે કહ્યું હતું કે જહાજમાંથી 20 થી 50 કન્ટેનર દરિયામાં પડી ગયા છે. આ કન્ટેનર કેરળ કિનારા તરફ વહી રહ્યા છે. આ પછી, ભારતીય રાષ્ટ્રીય દરિયાઈ માહિતી કેન્દ્ર (INCOIS) એ માહિતી આપી હતી કે આ કન્ટેનર આગામી ત્રણ દિવસમાં કોઝિકોડ અને કોચી વચ્ચેના દરિયાકાંઠે પહોંચી શકે છે.
મંત્રીએ કહ્યું કે કન્ટેનરમાં રહેલી ખતરનાક સામગ્રી અને ઓઈલ લીક થવાથી દરિયાઈ જીવો અને સ્થાનિક માછીમારોને નુકસાન થઈ શકે છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) એ જણાવ્યું હતું કે આનાથી માછીમારોની મુશ્કેલીઓ વધી શકે છે, ખાસ કરીને જ્યારે માછીમારીનો સારો મોસમ છે.
