અંતે ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે.
આ ચૂંટણી માટે 22 જૂને( સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી) મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં મતદાન માટે બેલેટ પેપરનો ઉપયોગ કરાશે. 2 જૂને જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજ્ય ચૂંટણીપંચે આજે જે 8326 ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. એમાં 4688 ગ્રામપંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3638 ગ્રામપંચાયતની પેટાચૂંટણી યોજાશે, જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. એના માટે 16,500 મતદાન મથક ઊભાં કરાશે, જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. કુલ 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બંને બેઠક પર 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામ આવશે. આ બંને વિધાનસભા બેઠકોનું પરિણામ આવે એના એક દિવસ પહેલાં એટલે કે 22 જૂને બંને વિધાનસભા અંતર્ગત આવતી અને મુદત પૂર્ણ થઈ ગઈ હોય એવી ગ્રામપંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી યોજાવાની છે.
કડી વિધાનસભાની વાત કરીએ તો અહીંની 103 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં કડી તાલુકાની 93 અને જોટાણા તાલુકાની 10 ગ્રામપંચાયતનો સમાવેશ થાય છે.
વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો એ અંતર્ગત આવતી 75 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં વિસાવદર તાલુકાની 33, ભેંસાણ તાલુકાની 20, જૂનાગઢ તાલુકાની 19 અને બગસરા તાલુકાની 3 ગ્રામપંચાયતનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 12 વોર્ડની ગ્રામપંચાયત હોય તો 15 હજારની મર્યાદા, 13થી 22 વોર્ડ હોય તો 30 હજાર અને 23 વોર્ડથી વધુ હોય તો 45 હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. વોર્ડના સભ્યો માટે ખર્ચની કોઈ જોગવાઈ નથી.
ગ્રામપંચાયતની જે ચૂંટણી યોજાય છે એ પક્ષના સિમ્બોલ પર નથી લડાતી હોતી. ગ્રામપંચાયતની ચૂંટણીમાં EVMના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતનાં પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
