22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો. આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યાં. 

PM મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. તે ગોળીબાર ભલે પહલગામમાં થયો હતો પરંતુ તેણે દેશના 140 કરોડ લોકોના આત્મા પર પ્રહાર કર્યો હતો. આપણે સૌએ એકજૂટ બની સંકલ્પ લીધો હતો કે, આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે તમારા સૌના આશીર્વાદથી દેશની સેનાના શૌર્યથી આપણે સૌ આ પ્રતિજ્ઞામાં સફળ થયા.

આગળ કહ્યું કે, જે લોકો સિંદૂર ઉજાડવા નીકળ્યા હતા, તેમને આપણે માટીમાં ભેળવી દીધા. તેઓ વિચારતા હતા કે, ભારત ચૂપ રહેશે. તેઓ પોતાના હથિયારો પર ઘમંડ કરતા હતા. આજે તેમને આપણે ચકનાચૂર કરી નાખ્યા. આ ન્યાયનું નવું સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે. આ માત્ર આક્રોશ નથી.

વધુમાં PMએ કહ્યું કે, આતંકવાદીઓના પ્રત્યેક હુમલાની ભારે કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડશે. પાકિસ્તાનની સેનાએ આ કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાએ આ કિંમત ચૂકવવી પડશે. હું દિલ્હીથી બિકાનેરના નાલ ઍરપોર્ટ પર ઉતર્યો હતો. પાકિસ્તાને આ એરબેઝને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને જરા પણ નુકસાન થયું નથી. પાકિસ્તાન સાથે ન તો વેપાર કરીશું ન તો મંત્રણા. જો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની વાત હશે તો પાકિસ્તાનને ભારતના હકનું પાણી મળશે. તેણે ભારતીયોના લોહી સાથે રમવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઈ તાકાત આ સંકલ્પનો વિરોધ કરી શકશે નહીં.

Leave a comment