અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના તેજસ્વી તારલાઓએ ફરી રચ્યો ઈતિહાસ

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો થકી ફરી એકવાર શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માં શાળાએ ધોરણ 10 SSC બોર્ડ પરીક્ષામાં સીમાચિહ્નરૂપ 100% પરિણામ સાથે સિદ્ધિની પરંપરાને યથાવત્ રાખી છે. એટલું જ નહીં, આ વર્ષે પ્રથમ વખત 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વળી એકંદર સરેરાશ ટકાવારી પણ ગત વર્ષ કરતાં વધીને 75.41% થઈ છે.

આ સિદ્ધિ એક શૈક્ષણિક જ નહીં પરંતુ સકારાત્મક સામાજીક બદલાવ માટે અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર (AVMB) ની અતૂટ પ્રતિબદ્ધતાનો મૂર્તિમંત પુરાવો છે. ખાસ કરીને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓ માટે શાળામાં અભ્યાસક્રમ ઉપરાંત વિવિધ પ્રશિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. માળખાગત એકમ પરીક્ષણોથી લઈને નિયમિત મૂલ્યાંકન સુધી, વિસ્તૃત સાંધ્ય અભ્યાસ સત્રોથી લઈને પૌષ્ટિક નાસ્તા સુધીની AVMBની પ્રત્યેક પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને સમર્પિત છે.

AVMB દ્વારા લેવામાં આવેલા દરેક પ્રયાસ આ ગૌરવપૂર્ણ પરિણામોમાં પરિણમ્યા છે. કરુણાપૂર્ણ અભિગમ, શિસ્તબદ્ધ આયોજન અને વિદ્યાર્થી-કેન્દ્રિત પ્રશિક્ષણ સાથે AVMBએ ફરી એકવાર સાબિત કર્યુ છે કે તે માત્ર એક શાળા જ નથી પરંતુ આશા, વિકાસ અને પરિવર્તનનું અભયારણ્ય છે. ભદ્રેશ્વરના માછીમાર પરિવારના મહેનતુ વિદ્યાર્થી નાજીર માંજાલિયા તેનું જીવંત ઉદાહરણ છે.

મર્યાદિત સાધનો હોવા છતાં નાજીરે હંમેશા શિક્ષણને મહત્વ આપ્યું. અનોખા સમર્પણ અને ખંતના પરિણામે SSC બોર્ડ પરીક્ષામાં તેણે ૯૮.૪૨ ના PR સાથે ૯૩.૩૩% મેળવ્યા છે. આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ શાળા અને આસપાસના સમુદાયો માટે પણ ગર્વની ક્ષણ બની ગઈ છે. હવે નાજીર રાષ્ટ્રસેવા અને સમાજના ઉત્થાનના ઉદ્દેશથી IAS અધિકારી બનવાની ખેવના ધરાવે છે.

૨૦૨૩માં ધોરણ IX માં પ્રવેશ મેળવતા અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરમાં જોડાવાનું તેનું સ્વપ્ન સાકાર થયું. તેણે ઝડપથી શિસ્તબદ્ધ અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ વાતાવરણમાં સમાયોજિત થઈ ગયો. શિક્ષકોના માર્ગદર્શનથી તે દરેક વિષયમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા લાગ્યો. વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ ધીમે ધીમે તે એક આત્મવિશ્વાસુ અને સક્ષમ વિદ્યાર્થી તરીકે વિકાસ પામ્યો.

નાજીર જણાવે છે કે, “અદાણી વિદ્યામંદિરે મારા ભવિષ્યને ઘડ્યું છે. તેણે મને યોગ્ય વાતાવરણ, મજબૂત મૂલ્યો અને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. મારામાં વિશ્વાસ રાખવા અને મારી સફળતામાં મદદરૂપ થવા બદલ હું મારા શિક્ષકો અને અદાણી ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું.”

AVMB વંચિત સમુદાયોના બાળકોનું શિક્ષણ થકી ઉત્થાન કરવા ભરસક પ્રયાસો કરી રહ્યું છે.

Leave a comment