વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે, જે હું જીવનભર યાદ રાખીશ.

વિરાટ કોહલીએ 10 મેના રોજ BCCIને કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માગું છું. BCCIએ કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું. 11 મેના રોજ બોર્ડના એક અધિકારીએ તેમની સાથે વાત કરી.

વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો.

વિરાટે લખ્યું, ‘મેં 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લૂ જર્સી પહેરી હતી. સાચું કહું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો અને મને એવા પાઠ શીખવ્યા, જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ.

વ્હાઇટ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે.

જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, એ સરળ નથી, પરંતુ હાલમાં એ યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે.

હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને સપોર્ટ આપનારા દરેકનો આભારી છું. હું હંમેશાં મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. તેણે આગળ પોતાનો જર્સી નંબર ‘269’ લખ્યો અને ‘સાઇનિંગ ઓફ’ લખ્યું.

BCCIએ વિરાટ કોહલીનો આભાર માન્યો. બોર્ડે લખ્યું- ટેસ્ટ ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ વારસો ચાલુ રહેશે. ટીમ ઈન્ડિયામાં તેણે આપેલું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે.

Leave a comment