હડતાળ પર ઊતરેલા 1100 આરોગ્યકર્મીની નોકરી ગઈ

આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્યકર્મચારીઓ અડગ રહ્યા છે. બીજી તરફ, સરકારે 1100 આંદોલનકારી કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા છે, સાથે જ 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. અત્યારસુધીમાં 10 હજારથી વધુ કર્મચારીને નોટિસ ફટકારી છે.

સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીને છૂટા કરવાની નોટિસ અપાઈ છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાંથી છૂટા કરવાનો આદેશ અપાયો છે. આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાને ગેરવાજબી ગણાવ્યું છે. તેમણે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતના મુદ્દા સાથે આરોગ્યકર્મીઓ છેલ્લા 10 દિવસથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે હજારોની સંખ્યામાં આરોગ્યકર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેન્ડલ માર્ચ યોજી અનોખો વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો નવમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા નવ દિવસથી હડતાળ પર ઉતરેલા ગાંધીનગર જિલ્લાના 284 આરોગ્ય કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારી છે, જ્યારે સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહીં કરેલા અને હડતાળમાં જોડાયેલા 8 કર્મચારીને ફરજમાંથી છૂટા કરાયા છે. હડતાળ પરના 276 કર્મચારીને ચાર્જશીટ આપવામાં આવી છે.

આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગુરુવારે આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે.

મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર), FHW (ફીમેલ હેલ્થ વર્કર), MPHS (મલ્ટિ પર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

આરોગ્યકર્મીઓ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

રાજ્યભરમાં સતત 10 દિવસથી ચાલી રહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું છે. સરકારને આ કર્મચારીઓની માંગણી પૂરી કરવા રજૂઆત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, લોકોના આરોગ્ય માટે દિવસ-રાત મહેનત કરતા ગુજરાતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર હોય, ફીમેલ હેલ્થ વર્કર હોય, મલ્ટિ પર્પઝ સુપરવાઇઝર હોય, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર હોય કે તાલુકા કે જિલ્લાના સુપરવાઇઝર હોય, આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના જે પણ કર્મચારીઓ છે જેમણે કોરાનાના કપરા સમયમાં પણ પોતાના કે પરિવારના જીવની ચિંતા કર્યા વગર આ ગુજરાતના લોકોને કોરોનામાંથી બચાવવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો છે.

અમિત ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આખા ગુજરાતમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની નાણાકીય અને વહીવટી માગણીઓને લઈ, છેલ્લા 9 દિવસથી ગાંધીનગરમાં ધામા નાખીને આંદોલન કરી રહ્યા છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. આ આરોગ્યકર્મીઓની જે વાજબી માંગણીઓ છે, એમને ટેક્નિકલ ગ્રેડ પે મળવો જોઈએ, ખાતાકીય પરીક્ષાઓ થાય છે એમાં આરોગ્ય વિભાગના સિવાયના પ્રશ્નો પુછાય છે એવી ખાતાકીય પરીક્ષાઓ નાબૂદ થવી જોઈએ.

Leave a comment