PM મોદીના વતનમાં CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું

વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે (24 માર્ચ 2025)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર, દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઇટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું.

રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે.

બાળપણમાં અહીં પાસે આવેલી બી.એન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા-અર્ચના કરતા હતા. આજે પણ તેમના જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે.

વડનગરમાં રૂ. 72 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 16 જાન્યુઆરી 2025ના રોજ કર્યું હતું. આ સંકુલ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની શાળામાં મેળવ્યું હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા વિકસિત કરાયેલું આ સંકુલ વિશ્વનો પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતને અનુરૂપ અહીં દર બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 વિદ્યાર્થી (10 છોકરા અને 10 છોકરી) તથા 10 ગાર્ડિયન શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.

1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં એક સમયે વડાપ્રધાન મોદી અભ્યાસ કરતા હતા. અહીં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા અને રમતોની સાથે 21મી સદીના કૌશલ્યો, જેવાં કે લેસર કટિંગ, 3D પ્રિન્ટિંગ અને VFX જેવી આધુનિક તકનીકોનું શિક્ષણ આપવામાં આવે છે. અત્યારસુધીમાં દેશના 410 જિલ્લાના 820 વિદ્યાર્થીએ અહીં તાલીમ મેળવી છે. વિદ્યાર્થીઓ વડનગરનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન મેળવે છે.

Leave a comment