ઓનલાઈન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઈ ટૂંકસમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ધ્યાનમાં રાખતાં કલેક્ટ પેમેન્ટ ટ્રાન્જેક્શન સર્વિસ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
યુપીઆઈના મર્ચન્ટ્સ જ કલેક્ટ કોલ ટ્રાન્જેક્શન સર્વિસનો ઉપયોગ કરી શકશે. જ્યારે પર્સન-ટુ-પર્સન કલેક્ટ રિક્વેસ્ટની મર્યાદા રૂ. 2000 સુધી સીમિત કરવામાં આવી છે.
બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, પુલ ટ્રાન્જેક્શન્સના લીધે ફ્રોડ વધુ થઈ રહ્યા છે. જેમાં સ્કેમર્સ ઓનલાઈન પ્રોડક્ટ ખરીદવાના બહાને રિટેલર્સ સાથે સંપર્ક કરે છે, અને યુપીઆઈ પેમેન્ટ કરવાનું કહી પુલ રિક્વેસ્ટ મોકલે છે. જો યુઝર ભૂલથી પેમેન્ટ રિસિવ કરવાની રિક્વેસ્ટ સમજી અપ્રુવ કરી દે છે. અને તેમના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે.
NPCIએ આ પગલું યુપીઆઈ ટ્રાન્જેક્શન્સને વધુ સુરક્ષિત બનાવવા માટે લીધુ છે. જેમાં ક્યુઆર કોડ અને ડાયરેક્ટ પુશ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બદલાવ ભારતની ઝડપથી વધતી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને સુરક્ષિત બનાવવાની રણનીતિનો ભાગ છે.
પુલ પેમેન્ટનું ફીચર તબક્કાવાર દૂર કરવામાં આવશે. જેથી નાના વેપારીઓને ક્યુઆર કોડ અને અન્ય પેમેન્ટ મોડ અપનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે. હાલ બેન્કોએ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરી લાગુ કરવાની માગ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ પ્રક્રિયા પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો MDR અગાઉ માફ કરવામાં આવ્યો હતો. જોકે, બેન્કોએ તેને ફરી લાગુ કરવાની માગ કરી છે. જેથી ડિજિટલ પેમેન્ટ ઈકોનોમીને વેગ મળી શકે.
આરબીઆઈના આંકડાઓ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં કાર્ડ અને ડિજિટલ બેન્કિંગ મારફત ફ્રોડના 13133 કેસ નોંધાયા હતા. જેમાં લોકોને રૂ. 514 કરોડનું નુકસાન થયુ હતું. જ્યારે ગત નાણાકીય વર્ષમાં રૂ. 1457 કરોડના 29000 ડિજિટલ સ્કેમ થયા હતાં.
