વિશ્વમાં ૩૦મી જાન્યુઆરીના રોજ રક્તપિત દિવસ મનાવવામાં આવશે આ દિવસે તેના નિર્મૂલન માટે ભરચક પ્રયત્નો કરવામાં આવે છે.અને હવે તેના નોંધપાત્ર પરિણામો ભારત ને વિશ્વમાં મળવા લાગ્યા છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે જનરલ હોસ્પિટલના સ્કિન વિભાગના ત્વચા નિષ્ણાત ડો. જુહી શાહ અને ડો. ઐશ્વર્યા રામણીએ કહ્યું કે,આ રોગના ૪૨ દર્દીઓ અત્રે સારવાર લઈ રહ્યા છે અને વર્ષ ૨૦૨૪- ૨૫માં રક્તપિત્તના ૩૨ નવા દર્દીઓની પણ ઓળખ(ડીટેક્ટ) થઈ છે.
તબીબોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૫ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ સમસ્તને એક બની રક્તપિત્તના દૈત્યને વિશ્વ વટો આપવા માટે સંયુક્તપણે પ્રયત્ન કરવા હાકલ કરી છે.આ સંસ્થાએ”યુનાઈટ,એક્ટ એન્ડ એલીમિનિટનો મંત્ર આપી આગળ વધવા આપીલ કરી છે.રક્તપિત ત્વચાની એવી બીમારી છે, જે ધીમી રફતારથી આગળ વધે છે અને ઘણીવાર તેનાં લક્ષણો દેખાતા પણ વાર લાગે છે.
લક્ષણો અંગે તબીબોએ કહ્યું કે, આ રોગથી શરીર ઉપર સફેદ,લાલ ચાંઠા પડવા, હાથપગ સુન્ન થઈ જવા, ઊંડો ઘાવ કે ફોલાં પડવા,કેટલીક વાર નાકમાંથી લોહી પણ નીકળે છે અને ક્યારેક ચાલતી વખતે પગમાંથી પગરખાં ઉતરી જતાં હોય છે. જો ત્વચા પર કોઈ શંકાસ્પદ નિશાની જણાય તો તબીબની તાત્કાલિક સલાહ લેવી,જેથી ત્વરિત ઈલાજ થઈ શકે.
તબીબોએ ઇલાજ અંગે જણાવ્યું કે આ રોગની સારવાર મલ્ટી ડ્રગ થેરાપી દ્વારા શક્ય છે. તબીબો નક્કી કરે છે કે કેવો ઈલાજ કરવો. સરકારી હોસ્પિટલમાં આની સારવાર નિશુલ્ક થાય છે. સારવારથી દર્દી સ્વસ્થ બની જાય છે. શરત માત્ર એટલી છે કે દર્દીઓએ સંપૂર્ણ સારવાર લેવી જોઈએ. કુષ્ઠ કે રક્તપિત રોગ એ શાપ નથી,સંપૂર્ણ ઠીક થઈ શકે છે.
જો દર્દી વચ્ચેથી સારવાર છોડી દેતો ફરીથી સારવાર લેવાની નોબત આવે છે. અર્થાત સારવાર બિલકુલ છોડવી નહીં. બની શકે કે સારવાર લાંબી પણ ચાલી શકે છે. નિરાશ થયા વિના સારવાર કરાય તો WHOની થીમ ૨૦૨૫ મુજબ રક્તપીતને હટાવી હરાવી શકાય છે. એમ ડોક્ટર મીરા પટેલે જણાવ્યું હતું.
સમાજમાં આ રોગ અંગે કેટલીક ગેર માન્યતાઓ પણ છે,જેમકે એકાએક હાથ મિલાવવાથી,આકસ્મિક સંપર્કથી રોગ થાય છે,પરંતુ એવું નથી.જો આવી ભ્રમણાઓ સમાજમાંથી દૂર થાય તો જ ઈલાજ જલ્દી શકાય બનશે અને રક્તપિત્તના કલંકને નાબૂદ કરી શકાશે.
