ગુજરાતના સુરેશ સોની અને લવજીભાઈ પરમારને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાશે

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે(25 જાન્યુઆરી, 2025) પદ્મ પુરસ્કારો 2025 માટે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પદ્મ શ્રી પુરસ્કાર વિજેતાઓમાં ગુજરાતના સુરેશ સોની અને લવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે. સાબરકાંઠાના સુરેશ સોનીએ પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે, તેથી તેમને સામાજિક કાર્ય(હેલ્થ કેર) માટે પદ્મ શ્રી એનાયત કરાશે. જ્યારે સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમારને કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મ શ્રી એનાયત કરવામાં આવશે.

ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા 62 વર્ષીય પરમાર લવજીભાઈ નાગજીભાઈને પદ્મ શ્રી એનાયત કરાશે. તેમણે 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ કલા ટાંગલિયાને સાચવવા અને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીઓમાં તેને અપનાવવા માટે 4 દાયકાથી વધુ સમય સમર્પિત કર્યો છે.

ભારતભરમાં પ્રદર્શનો અને વેચાણકર્તાઓ સાથે સહયોગ દ્વારા આ અનોખા અને લુપ્ત થયેલા વણાટને પ્રોત્સાહન આપ્યું છે. એક કોમન ફેસિલિટી સેન્ટર બનાવીને અને તેમને તાલીમ આપીને ટાંગાલિયા કલામાં રોકાયેલા ઘણા ગરીબ પરિવારોને તૈયાર કર્યા જેથી આ કલા આગામી પેઢીઓ સુધી વહેતી રહે. તેમને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી. 20-25 વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે ટકાઉ આજીવિકા બનાવી.

પરમાર લવજીભાઈના પુત્ર મુકેશભાઈએ ટાંગલિયા કલા અને લવજીભાઈના યોગદાન અંગે વાત કરતા ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે, ‘ટાંગલિયા એક લુપ્ત થતી કલા છે, જેને બચાવવા માટે મારા પિતા યોગદાન આપી રહ્યા છે. ધીરે ધીરે ભારત અને વિદેશમાં ટાંગલિયાની માગ વધી રહી છે. લવજીભાઈને વર્ષ 1990માં નેશનલ એવોર્ડ અને વર્ષ 2019માં સંત કબીર એવોર્ડ એનાયત કરાયો હતો. તેમનો પરિવાર આ કલા સાથે વારસાગત જોડાયેલો છે. તેમના દાદાને પણ ટાંગલિયા કલા માટે રાજ્ય એવોર્ડ મળ્યો છે.

મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ’40-50 વર્ષ પહેલાં ટાંગલિયા કલા ઘેટાંના ઊનમાંથી બનતી હતી. તેને ભરવાડ, રબારી અને આહિર સમાજના લોકો જ ખરીદતા હતા. પરંતુ ધીરે ધીરે બજારમાં સસ્તાં વસ્ત્રો આવવાથી તેમણે ખરીદવાનું ઓછું કરી દીધું. જેના કારણે આ કલા લુપ્ત થતી ગઈ. બાદમાં અમે ટાંગલિયાને કોટનમાં બનાવ્યા. જેમાં કુશન કવર, સાડી, ડ્રેસ બનાવ્યા. જેના કારણે ધીરે ધીરે તેનો વિકાસ થતો રહ્યો.’

ટાંગલિયા શાલ એ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે. આ 700 વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.

સુરેશ સોની વર્ષ 1988માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક છે. 36 વર્ષથી વધુ સમય રક્તપિત્ત દર્દીઓ, બૌદ્ધિક રીતે અપંગ અને દિવ્યાંગ-જનની સંભાળ, કલ્યાણ અને પુનર્વસન માટે સમર્પિત – રક્તપિત્તથી પીડિત લોકો માટે ‘સહયોગ’ નામનું ગામ સ્થાપિત કર્યું અને દિવ્યાંગજન અને બૌદ્ધિક રીતે અપંગોને આશ્રય પણ આપ્યો. સહયોગ ગામ હાલમાં અનેક દર્દીઓનું ઘર છે અને તેમાં ચૂંટણી મથક, પ્રાથમિક શાળા, કરિયાણાની દુકાન જેવી સુવિધાઓ છે. પરિવાર અને સમાજ દ્વારા ત્યજી દેવાયેલા અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને નબળા વર્ગોની સંભાળ રાખવામાં આવે છે.

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ જેવું જોવા મળશે. ભારતભરમાંથી આવેલા કુષ્ઠરોગ એટલે કે જેને આપણે રક્તપિત્ત રોગથી જાણીએ છીએ એ રોગના દરદીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે. જોકે અહીં હવે માત્ર કુષ્ઠરોગ જ નહીં; મંદ બુદ્ધિવાળા, HIV દર્દી, ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ, પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે. અહીં તેમની દેખભાળ કરવામાં આવે છે જેના કારણે આજે આ ‘સહયોગ’ ગામમાં નાના-મોટા થઈને 900થી વધુ લોકો રહે છે. કુષ્ઠરોગીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોનીએ અને ઇન્દિરા સોનીએ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે. એક સમય હતો જ્યારે કુષ્ઠરોગીઓ સામે તિરસ્કારભરી નજરે લોકો જોતા અને તેમની પાસે જવામાં ડર લાગતો. એવા સમયે આ દંપતીએ રક્તપિત્તના દરદીઓ પાસે સામેથી જઈને તેમની સારવાર કરી, પોતાની પાસે રાખીને તેમને આત્મસન્માનિત બનાવ્યા, કામ આપ્યું અને અંધકારભર્યા જીવનમાંથી જીવન જીવવાનો નવેસરથી રસ્તો બતાવ્યો. એના કારણે આજે હજારો કુષ્ઠરોગના દરદીઓ સાજા થયા છે અને આત્મસન્માન સાથે જીવન જીવી રહ્યા છે.

Leave a comment