ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ તેને તાવ, શરદી, ઉલટી અને કફની તકલીફ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમની સારવાર દરમિયાન રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. આમ, અમદાવાદ શહેરમાં 1 મહિનામાં પાંચ જેટલા HMPVના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં HMPVના પાંચ કેસ સામે આવ્યા છે. જ્યારે HMP વાઈરસનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં 2 મહિનાનું બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરાતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.
HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.
11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી.
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.
