લોકસભા ચૂંટણી 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારને સત્તાથી બહાર કરવાના ઇરાદે બનાવાયેલા INDI ગઠબંધન શું ખતમ થઈ ચૂક્યું છે? આ સવાલ હાલના સમયમાં જનતાના મનમાં ઉપજી રહ્યો છે. કારણ કે RJD નેતા તેજસ્વી યાદવ બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ કહ્યું કે, ‘આ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી સુધી જ હતું.’
રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધન INDI ગઠબંધનના નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના નેતૃત્વથી નારાજ થયા છે. ત્યારે હવે કોંગ્રેસના જ દિગ્ગજ નેતા પવન ખેડાએ આ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
INDI ગઠબંધનને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં પવન ખેડાએ કહ્યું કે, INDI ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું. INDI ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું અને રાષ્ટ્રીય સ્તર પર હતું. અલગ-અલગ રાજ્યોની પરિસ્થિતિઓના હિસાબથી જે પક્ષ છે, કોંગ્રેસ હોય કે સ્થાનિક પક્ષ હોય તે નિર્ણય લે છે કે સાથે મળીને લડવું છે કે અલગ-અલગ લડવું છે.
આ પહેલા એક કાર્યક્રમમાં RJD નેતા તેજસ્વી યાદવે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘ગઠબંધન ખતમ થઈ ચૂક્યું છે. આ ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી સુધી જ હતું અને ચૂંટણી પૂર્ણ થયા બાદથી જ આ ખતમ થઈ ચૂક્યું છે.’
જોકે, આપ અને કોંગ્રેસ બંને INDIA બ્લોકનો ભાગ છે, પરંતુ બંને પાર્ટીઓ દિલ્હી ચૂંટણી અલગ-અલગ લડી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે આકરી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું કે, ‘વિપક્ષ એકજુટ નથી, એટલા માટે INDIA બ્લોકને ભંગ કરી દેવું જોઈએ. એ દુર્ભાગ્યપૂર્ણ છે કે INDIA બ્લોકની કોઈ બેઠક યોજાઈ નથી. નેતૃત્વ કોણ કરશે? એજન્ડા શું હશે? ગઠબંધન કેવી રીતે આગળ વધશે? આ મુદ્દાઓ પર કોઈ ચર્ચા નથી થઈ. આ વાત પર કોઈ સ્પષ્ટતા નથી કે આપણે એકજુટ થઈએ કે નહીં. જો આ માત્ર લોકસભા ચૂંટણી માટે હતું તો ગઠબંધનને ખતમ કરી દેવું જોઈએ, પરંતુ જો આને વિધાનસભા ચૂંટણી માટે પણ શરૂ રાખવાનું છે તો આપણે મળીને કામ કરવું જોઈએ.’
