અદાણી જૂથને વધુ એક પીઢ વિદેશી રાજનેતાનું સમર્થન પ્રાપ્ત થયું છે. નોર્વેના પૂર્વ પર્યાવરણ મંત્રી એરિક સોલ્હેમે અદાણી સમુહ પર લગાવવામાં આવેલા આરોપોને વાહિયાત અને રાજકીય ચાલબાજી ગણાવી છે. ન્યૂઝ એજન્સી IANSને આપેલા એક ઈન્ટર્વ્યુમાં યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સોલ્હેમે જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા અદાણી ગ્રુપના અધિકારીઓ સામે લગાવવામાં આવેલા આરોપો “સંપૂર્ણપણે અમેરિકાની ચાલ” સિવાય બીજું કંઈ નથી.
નોર્વેના પીઢ નેતાના મતે જો અમેરિકાને અદાણી જૂથ વિશે કોઈ ફરિયાદ હોય, તો તેણે પહેલા ભારત સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ત્યારબાદ તેને અમેરિકન કોર્ટમાં નહીં, પરંતુ ભારતીય ન્યાયતંત્રમાં લઈ જવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, (યુએસ દ્વારા) આચરવામાં આવતી આવી યુક્તિઓ હાનિકારક છે કારણ કે અદાણી જૂથ ભારતના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
સોલહેઈમે જણાવ્યું હતું કે “તેમની(અદાણી) પાસે સૌર અને પવન ઉર્જા સુવિધાઓ સ્થાપવાની વિશાળ યોજનાઓ છે. ભારત અને વિદેશોમાં તેમનું ભારે રોકાણ છે,” તેમણે ઉમેર્યુ હતું કે, યુ.એસ.માં ઉર્જા સુરક્ષા પહેલ માટે અદાણી જૂથે $10 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે.” તેમનું લક્ષ્ય દેશમાં 15,000 સ્થાનિક નોકરીઓનું સર્જન કરવાનું છે.
અદાણી ગ્રપે અમેરિકન એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનના રોકાણ માટે પ્રતિબદ્ધ છે. સોલ્હેઈમે કહ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સે તેનો સરમુખત્યારશાહી અભિગમ બદલવો જોઈએ અને તેના બદલે આવી અર્થહીન ક્રિયાઓના પરિણામો વિશે વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, “મને ખાતરી છે કે તથાકથિત આરોપોમાંથી અદાણી જૂથ વધુ મજબૂત રીતે ઉભરી આવશે”.
સોલહેઈમે કહ્યું કે “એ સમય ગયો જ્યારે અમેરિકા જેવા પશ્ચિમી દેશો વિશ્વના મધ્યસ્થી કે ન્યાયાધીશ બનતા હતા”. ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથના અધિકારીઓ સામે આરોપો રજૂ કરનાર યુએસ એટર્ની બ્રાયન પીસે રાજીનામાની જાહેરાત કરી છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી યુએસ પ્રમુખ તરીકે શપથગ્રહણ કરશે. આ તરફ વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા અદાણી જૂથના અધિકારીઓ પર લગાવવામાં આવેલા આરોપોને ખૂબ જ વાહિયાત ગણાવ્યા છે. જેઠમલાણીએ કહ્યું કે, ‘અમેરિકામાં અદાણી જૂથ સામેનો કેસ પહેલેથી જ ઘણો નબળો છે. પીસનું રાજીનામું અનિવાર્ય હતું; નહિતર ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દ્વારા તેમને ભવિષ્યમાં પદ છોડવા માટે કહેવામાં આવ્યું હોત.
