અદાણી જૂથ પરના આરોપોમાં પુરાવાઓ વિના કાર્યવાહી નહીં: ચંદ્રાબાબુ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ પરના આરોપો મામલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે નક્કર પુરાવાઓ નહીં મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થાય. આ મામલો આંધ્ર પ્રદેશમાં વીજ પુરવઠા સાથે જોડાયેલો છે. અદાણી ગ્રીનને નિયત નિયમો અનુસાર કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

અદાણી ગ્રીન પર અમેરિકામાં કરવામાં આવેલા આરોપો મામલે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે જ્યાં સુધી આ ઠોસ પુરાવાઓ નહીં મળે ત્યાં સુધી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ચંદ્રબાબુ નાયડુએ ગત રાજ્ય સરકાર પર લાંચ સંબંધિત આરોપો અંગે વિધાનસભામાં કાર્યવાહીની વાત કરી હતી. જો કે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને US-SECએ આરોપો મૂક્યા બાદ ચારેય બાજુથી ટીકા થવા લાગી ત્યારે જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આરોપો પાયાવિહોણા અને વાહિયાત હતા.

હવે આંધ્ર પ્રદેશ સરકાર પણ માની રહી છે કે આ અદાણી સામેના આરોપોમાં કોઈ નક્કર વાત નથી. ETના અહેવાલ મુજબ CM ચંદ્રબાબુ નાયડુએ વિજયવાડામાં મીડિયાને જણાવ્યું હતું કે જ્યાં સુધી પુરાવાઓ થકી આરોપોની પુષ્ટિ નહીં થાય ત્યાં સુધી આ કેસમાં કોઈ પગલાં લઈ શકાય નહીં.

જગનમોહન રેડ્ડીની પાછલી સરકાર દરમિયાન આપવામાં આવેલા આ કોન્ટ્રાક્ટમાં આક્ષેપો સામે આવ્યા બાદ સીએમ નાયડુએ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે તપાસ કરશે. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, ‘હજુ વધુ તથ્યો સામે આવવાના બાકી છે. સરકાર એ પણ વિચારી રહી છે કે શું પગલાં લેવા જોઈએ કારણ કે જેમ જેમ આપણે બોલીએ છીએ તેમ તેમ હકીકતો સામે આવી રહી છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરીને જરૂરિયાત મુજબ પગલાં લઈશું.

નાયડુએ કહ્યું કે, ‘જો આ મુદ્દે જગનમોહન રેડ્ડી વિરુદ્ધ કાર્યવાહી કરવી પડી હોત તો તે મારા માટે ‘લડ્ડુ મોમેન્ટ’ હોતી. પણ હું બદલાની રાજનીતિ ક્યારેય નથી કરતો. TDP અને YSRCP વચ્ચે આ જ તફાવત છે. તે રાજ્ય સરકારની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે.’ ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશમાં પાવર સપ્લાય સંબંધિત આ કોન્ટ્રાક્ટ સરકારી કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) દ્વારા આપવામાં આવ્યો હતો. SECI એ અદાણી ગ્રીન એનર્જી (AGEL) સાથે 4,666 MW અને Azure Power સાથે 2333 MW માટે પાવર ખરીદી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. બાદમાં, Azure ના ઉપાડને કારણે આ ક્ષમતા પણ AGEN ને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Leave a comment