રાજ્યનું છેલ્લા 24 કલાકથી વાતાવરણ પલટાયું છે, ત્યારે હજુ પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
આ ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તા દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. તો આજે સુરતમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યો છે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા અમદાવાદ જિલ્લામાં ફક્ત 24 જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન 17.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે.
વહેલી સવારથી જ સુરત શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને ભરબપોર સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડ્યો હતો. રસ્તા ઉપર વાહનચાલકોને 20થી 25 ફૂટ દૂરના વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.
