કચ્છમાં બાર એસોસિએશનની ચૂંટણી

કચ્છના તાલુકા મથકોએ બાર એસોસિએશનની આજે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે. અંજાર અને ગાંધીધામ સહિતના સેન્ટરમાં પ્રમુખ ઉપપ્રમુખ સિવાયના હોદ્દાઓ ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકી રહેતા પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લામાં સૌથી મોટા બાર એસોસિએશન ધરબતા ભુજ તાલુકા માટેની ચૂંટણી જિલ્લા કોર્ટ પરિસરમાં ચાલી રહી છે. અહીં બે પેનલ સાથે ત્રીજા સ્વૈચ્છિક પક્ષે ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. મુન્દ્રા બાર એસોસિએશનની ચુંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ કાનજીભાઈ સોધરા 31 મતથી વિજય થયા છે.

ભુજ તાલુકા બાર એસોસિએશન ની ચૂંટણી અંગે સહાયક ચૂંટણી કમિશ્નર મલ્હાર ડી બુચે જણાવ્યું હતું કે કુલ 754 સભ્યો ધરાવતા બાર એસોસિએશન માટે હાલ એડવોકેટ અનિલ જોશી અને દેવાયત બારોટની પેનલ સાથે સચિન ગોર દ્વારા પ્રમુખપદ માટેની સ્વતંત્ર ઉમેવારી નોંધાવી છે. હાલ બરના નિયમોનુસાર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મંડળના ધારાશાસ્ત્રી ઓ પોતાનો મત આપવા કતારમાં ગોઠવાયા છે. સંભવિત બપોરના 4 સુધી મતદાન ચાલી શકે છે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.

કચ્છના તાલુકા મથકે બાર એસોસિએશનની ચૂંટણી પણ યોજાઇ રહી છે. આ ચૂંટણી અંગેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને મોટા ભાગના સ્થળોએ મતદાન ચાલી રહ્યું છે. ગાંધીધામ સેન્ટર ખાતે બાર એસોસિએશન માટે પ્રમુખ પદ સિવાયના હોદ્દા બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. અહીં પ્રમુખપદ માટે બીઆર ગઢવી, એસએસ ગઢવી અને અલ્પેશ આર્ય મેદાનમાં છે. મોડી સાંજે પરિણામ જાહેર થઈ જશે. હાલ મંડળના કુલ 479 વકીલો પોતાનો મત આપવા કતારમાં જોડાયા હોવાનું એડવોકેટ અને ચૂંટણી કમિશ્નર નરેન્દ્ર તોલાણીએ જણાવ્યું હતું.

અંજારમાં બાર એસોસિએશનમાં પણ અમુક હોદ્દાઓ બિનહરીફ થયા છે. બિનહરીફ થયેલા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત ચૂંટણી પરિણામ સમયે થશે. અંજાર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના મહત્વના પદ સિવાયના હોદ્દા ઉપર ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું વરિષ્ઠ ધારાશાસ્ત્રી સામત ગઢવીએ જણાવ્યું હતું. હાલ પ્રમુખ, ઉપપ્રમુખ મંત્રી અને સહ મંત્રી પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.

ભચાઉ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 93 સભ્યો આ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કોર્ટ પરિસર ખાતે આવી પહોંચ્યા છે. અહીં પણ ડીબી જોગી, સ્નેહલ કેલા અને હરેશ કાંઠેચા વચ્ચે ત્રિપાંખીયો જંગ હોવાનું એડ્વોકેટ સીદીક નારેજએ જણાવ્યું હતું. ચૂંટણી કમિશ્નર તરીકે એડ.નિરુભા જાડેજા સેવા આપી રહ્યા છે.

Leave a comment