અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા આરોગ્ય કેન્દ્રમાં 5,000+ દર્દીઓને સારવાર

અદાણી ફાઉન્ડેશનની સહાયથી ખાવડાનું સામુહિક આરોગ્ય કેન્દ્ર લોકો માટે આરોગ્ય સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. ખાવડા એસીસી પ્લાન્ટ નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 5000 થી વધુ દર્દીઓએ નિ:શુલ્ક મેડિકલ સુવિધાઓનો લાભ લીધો છે. કુલ વળી 4૦૦થી વધુ લોકોને આંખોના તપાસ, નિદાન અને આંખના ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવ્યા છે. એટલું જ નહી, કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાં દર્દીને ભુજ સુધી પહોંચાડવા ગાડીની સુવિધા પણ કરવામાં આવી છે. 

સપ્ટેમ્બર -૨૦૨૩માં ખાવડા સી.એસ.સી. ખાતે “અદાણી આરોગ્ય કાર્યક્રમ“ ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભુજના પાંચ નિષ્ણાંત ડોકટર્સની ટીમનો સમાવેશ હતો. સ્ત્રીરોગ, બાળરોગ, આંખ, હાડકાં અને જનરલ સર્જન ડોકટર્સે અઠવાડિયમાં બે વાર નિયમિત સેવા શરૂ કરવામાં આવી હતી. ટૂંકા સમયગાળામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચ ડોકટર્સની નિયમિત સેવાનો 5૦૦૦ થી વધુ દર્દીઓને લાભ મેળવ્યો છે.

ખાવડા ખાતે નિષ્ણાતોનું નિ:શુલ્ક નિદાન અને દવાઓ મળતા લોકોને ઘરે બેઠા ઉત્તમ સુવિધાઓ અને રાહત થઈ છે. જિલ્લા કલેક્ટર તથા અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી પણ સમયાંતરે આ  સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યાં છે.

અકૌ ગામનાં રાયબભાઈ જણાવે છે કે “અમારે બહેનોની સારવાર માટે ફરજિયાત ભુજ જવું પડતું અને 2૦૦૦ થી 3૦૦૦ રૂપિયાનો ખર્ચો થતો હતો, પરંતુ અદાણી ફાઉન્ડેશનની આ સેવા ચાલુ થતા ખર્ચાની સાથે સમય અને મુસાફરીની ભાગદોડમાંથી રાહત મળી છે. તો અકલી ગામનાં જલાલભાઈ કહે છે કે ”બાળકોના ડોક્ટરની અહીં ખાસ જરૂર હતી. તેની સુવિધા શરૂ થતા અમારા બાળકોને રડતું રડતું ભુજ પહોચાડવાના દુખથી મુક્તિ મળી છે.

તુગા ગામની ફાતિમા જણાવે છે કે “આ વિસ્તારની ગર્ભવતી બહેનોને દર બે-ત્રણ મહિને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ પાસે જવું પડતુ હતું, પરંતુ હવે રાહત છે. તો રૂપાબેન કોળીએ જણાવે કે “આ આરોગ્ય કેન્દ્રમાં બહેન ડોકટર હોવાથી પોતાની પીડા અંગે પેટછૂટી વાત કરી શકે છે. અમે 32 જેટલી બહેનોએ મળીને મેડિકલ સલાહથી કુટુંબ નિયોજન પણ કરાવ્યુ છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં અંતરિયાળ ગામોમાં નિષ્ણાંત બહેનો દ્વારા મહિલાઓને “માસિકધર્મ સ્વચ્છતા તાલીમ તથા “નિશુલ્ક સેનેટરી પેડ આપવામાં આવે છે. જેના કારણે કિશોરીઓમાં પણ ખૂબ જાગૃતિ આવી છે.

Leave a comment