ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ભવ્ય સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ફેઝમાં 52 ચેકડેમ, પાથ વે અને સનસેટ પોઈન્ટની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બીજા ફેઝની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ, ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સંગ્રહાલયમાં સમાવેશ છે. ત્યારે સ્પેઈન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ સ્મૃતિવનને યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેઈલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. અહીં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે જેમાં 3 લાખ વૃક્ષો છે. તે સિવાય 50 ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મુકવામાં આવી છે.
આ સાથે સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે.
