રશિયન વિદેશ મંત્રી સર્ગેર્ઈ લાવરોવે કહ્યું કે રશિયાનું માનવું છે કે ભારત, બ્રાઝિલ અને આફ્રિકી દેશોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ‘ભારત, બ્રાઝિલની સાથે-સાથે આફ્રિકી દેશોને ઘણા સમય પહેલા સુરક્ષા પરિષદમાં સ્થાયી પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતુ. આ દેશોમાં દુનિયાની મોટી વસતી રહે છે, જેનું પ્રતિનિધિત્વ નક્કી કરવું જરૂરી છે.
ભારત સુરક્ષા પરિષદના સ્થાયી અને અસ્થાયી સભ્યોની સંખ્યા વધારવા સહિત વિભિન્ન સુધારા માટે વર્ષોથી કરવામાં આવી રહેલા પ્રયત્નોમાં સૌથી આગળ રહ્યું છે. ભારતનું કહેવું છે કે 1945માં સ્થાપિત 15 દેશોની સુરક્ષા પરિષદ 21 મી સદીના હેતુ માટે યોગ્ય નથી અને સમકાલીન ભૂ-રાજકીય વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી નથી.
ભારતનું કહેવું છે કે તે પણ સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનવાનું હકદાર છે. ગયા મહિને, બ્રિટનના વડાપ્રધાન કીઅર સ્ટાર્મર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીમાં સ્થાયી સદસ્યતાના ભારતના દાવાનું સમર્થન કર્યું હતું.
ભારત 2021-22માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બન્યુ હતુ. સમકાલીન વૈશ્વિક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવા માટે સ્થાયી સભ્યોની સંખ્યા વધારવાની માગ વધી રહી છે.
