આજે એટલે કે 3જી ઓક્ટોબરે શેરબજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1,769 પોઈન્ટના ઘટાડા સાથે 82,497 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 546 પોઈન્ટ ઘટીને 25,250ની સપાટીએ બંધ થયો હતો. આજે રોકાણકારોની સંપત્તિમાં ₹10.7 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આજે ઓટો, એનર્જી, ફાઇનાન્સ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. BPCL, શ્રીરામ ફાઇનાન્સ અને L&Tના શેરમાં 4%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. JSW સ્ટીલના શેર 1.33%ના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર રહ્યા હતા.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે.
ભારતીય શેરબજારના વર્તમાન વેલ્યુએશનમાં વધારો થયો છે. ખાસ કરીને મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં. આ કારણે બજારમાં નોંધપાત્ર કરેક્શન જોવા મળી શકે છે.
અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર વિશ્વભરનાં બજારોમાં જોવા મળી રહી છે.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 2.24% ઊંચો છે. તે જ સમયે, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 2.43% અને કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.22% નીચે છે.
2 ઓક્ટોબરના રોજ, યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.09% વધીને 42,196 અને Nasdaq 0.08% વધીને 17,925 પર પહોંચી. S&P 500 પણ 0.01% વધીને 5,709 પર છે.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 1 ઓક્ટોબરે રૂ. 5,579 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 4,60 કરોડના શેર ખરીદ્યા હતા.
