અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘કોસ્ટલ ક્લીન-અપ ડે’ની આનોખી ઉજવણી

અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે પ્રિતબદ્ધ છે. તાજેતરમાં કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે, કચ્છ કોપર લિમિટેડ અને સિક્યોર નેચરના સહયોગથી અદાણી ફાઉન્ડેશને તટીય સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન કર્યુ હતું. જેમાં માંડવીના કાશી વિશ્વનાથ બીચ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યું હતું. સમાજના વિભિન્ન વર્ગોમાં જાગૃતિ અને જવાબદારી વધારવાના ઉદ્દેશ સાથે આયોજીત તટસ્વચ્છતા અભિયાનમાં ભારે સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા.

રવિવારે આયોજીત આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ડ્રાઈવમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, 80+ ઉત્થાન સહાયકોએ સક્રિય યોગદાન આપ્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિક બને તેવો આ અભિયાનનો ઉદ્દેશ હતો. રતાડીયા હાઈસ્કૂલ અને છસરા હાઈસ્કૂલના વિધાર્થીઓ અને શિક્ષકોએ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંદાજે 1 કિલોમીટર વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી પર્યાવરણના સંરક્ષણ માટે તેમણે મહત્વપૂર્ણ કાર્ય કર્યુ હતું.  

સિક્યોર નેચરના સમર્થન અને સ્વયંસેવકોના સાથ સહકારથી આ અભિયાન વધુ અસરકારક બન્યું હતું. મરીન બાયોલોજીસ્ટ ડૉ. માનસી ગોસ્વામી અને સેક્યોર નેચરના ધાર્મિક ભટ્ટે પર્યાવરણની સંરક્ષણ અંગે ટકાઉ અભિગમ અપનાવવા પર ભાર મૂકતા ઇકોબ્રિક્સ અંગેની માહિતી શેર કરી હતી.  

ઉલ્લેખનીય છે કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા સિક્યોર નેચર સાથે મુન્દ્રા અને માંડવીની શાળાઓમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ માટે 1 વર્ષના MoU કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDG) સાથે સંરેખિત પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની સમજ વધારવા, પર્યાવરણ પ્રત્યે સકારાત્મક આદતો વિકસાવવા અને પર્યાવરણીય વિચાર કૌશલ્યને પ્રોત્સાહિત કરવાનો તેનો હેતુ છે.

સિક્યોર નેચર અને ઉત્થાન શાળાઓ પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમોને આગળ ધપાવી રહ્યા છે. જેમાં 12000થી વધુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ માટે વર્કશોપ, સેમિનાર, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ, એક્સપોઝર મુલાકાતો અને વિવિધ દિવસોની ઉજવણીનો સમાવેશ થાય છે. પર્યાવરણીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા પ્રત્યેક શાળામાં ઈકો ક્લબની રચના કરવામાં આવશે. જૈવવિવિધતા અને સંરક્ષણને પ્રોત્સાહન આપતા 80 શાળાઓમાં તે પક્ષી ઘરોનું વિતરણ કરશે.

Leave a comment