રાજ્ય સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં હતાં. ત્યારે હવે ભાવિ શિક્ષકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરી છે.

રાજ્ય સરકારની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફતે મળેલી 1608 જેટલી અંદાજિત ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. શિક્ષણ સહાયકની નિમણૂક માટે દ્વિસ્તરીય TAT(HS)-2023 ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરાશે.

સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)-2023 પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોન ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 39 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટ મળવાપાત્ર છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10 ઓક્ટોબર 2024 થી 21 ઓક્ટોબર 2024 સુધી https://www.gserc.in/ વેબસાઈટ આપેલી સૂચના મુજબ ઓનલાઈન અરજી કરી શકશે.

લાયક ઉમેદવારો અરજીની નિયત ફી પણ આ વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકે છે. ઓનલાઈન અરજી પત્રકમાં તમામ વિગત ભર્યા બાદ તેની ખાતરી કરીને જ ફી ભરવી. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે. કન્ફર્મ થયેલી અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છો તો અગાઉની અરજીને Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને ફરીથી ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી નહીં ભરી હોય તો અરજીનો સ્વીકાર કરાશે નહીં.

Leave a comment