બાળકોમાં જન્મજાત મોતિયો હોય તો તે માટે સર્જરી જ સરળ ઉપચાર પધ્ધતિ હોવાથી, જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં એક જ માસમાં આવા ત્રણ જન્મજાત મોતિયોગ્રસ્ત બાળકોનું ઓપરેશન કરી તેમને રોશની આપી.
જી.કે.ના આંખના સર્જન ડો.અતુલ મોડેસરાએ કહ્યું કે, બાળકોમાં જન્મજાત મોતિયો થવા માટે આનુવંશિક,રુબેલા સંક્રમણ,ગર્ભવસ્થા દરમિયાન પોષક તત્વોની ઉણપ વિગેરે કારણભૂત હોઈ શકે છે.જો કે ઘણા કિસ્સામાં કારણ મળતું નથી પરંતુ જન્મજાત મોતિયાનું ઝડપી નિદાન કરી,સારવાર દ્વારા બાળકો માટે સ્પષ્ટ દૃષ્ટિ આપવાની સાથે તેમને સામાન્ય પ્રવાહમાં લાવી તેમની દુનિયા રંગીન બનાવી શકાય છે.
આ ત્રણ બાળકોમાં ભુજનો વન્સ ગીરી, લખપત તાલુકાના ફૂલરાનો આરીફ જત તેમજ ધાણેટીના મોહમ્મદ સયાનનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં ડો. નૌરીન મેમણ, ડો.મીત પરીખ, ડો.રવી સોલંકી, ડો.રાહી પટેલ જોડાયા હતા તેમજ નર્સિંગ સ્ટાફ સહયોગી રહ્યો હતો.
