બજેટ 2024માં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક મોટી જાહેરાતો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધતાં કૃષિ ઉપકરણો પર સબસિડી વધારવા અને કિસાન સન્માન નિધિ દ્વારા આપવામાં આવતી રકમમાં વધારો થઈ શકે છે. અપેક્ષા છે કે, ત્રીજી વખત સત્તામાં આવનારી મોદી સરકાર આ વખતે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી શકે છે.
ખેડૂત સંગઠન લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવા માગ કરી રહી છે. હાલ, ખેડૂતોને વાર્ષિક રૂ. 6 હજાર આપે છે, પરંતુ મોંઘવારી અને વધતા ખર્ચના લીધે આ રકમ વધારવાની જરૂરિયાત દર્શાવાઈ છે. સરકાર તેમાં વધારો કરી રૂ. 8000 પ્રતિ વર્ષ કરી શકે છે.
વર્તમાનમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત 7 ટકા વ્યાજ પર રૂ. 3 લાખની કૃષિ લોન મળે છે, જેમાં 3 ટકા સબસિડી સામેલ છે. અર્થાત ખેડૂતોને આ લોન 4 ટકાના વ્યાજદર પર મળે છે. મોઁઘવારી અને ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં સરકાર આ મર્યાદા વધારી રૂ. 4-5 લાખ કરી શકે છે.
કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતોને સિંચાઈ માટે સબસિડી પર સોલાર પંપ ઉપલબ્ધ કરાવે છે. ખેડૂત સંગઠન ઈચ્છે છે કે, સોલાર પંપ મારફત મળતી વીજનો ઉપયોગ કરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. બજેટમાં આ અંગે ખાસ જોગવાઈ રજૂ થઈ શકે છે.
કૃષિ ઉપકરણો પર લાગૂ જીએસટીનો ખેડૂત સંગઠન વિરોધ કરી રહ્યો છે. તેમની માગ છે કે, સરકાર કૃષિ ઉપકરણો પર જીએસટી દૂર કરે અથવા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ આપે. બજેટમાં સરકાર કૃષિ ઉપકણો પર જીએસટી દરો ઘટાડવા અથવા વધુ સબસિડી આપવા નિર્ણય લઈ શકે છે. એનડીએ સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય આપવાની હિમાયત કરી રહી છે.
