દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી હતી. જેના બાદ તેની સામે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી છે. કેજરીવાલ વતી તેમના વકીલે દલીલ કરી હતી કે હાઈકોર્ટ દ્વારા અમારા અસીલને મળેલા જામીન પર સ્ટે મૂકવો એ ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. આ મામલે દલીલો બાદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ ચુકાદો કે રાહત ન આપતાં સુનાવણી બુધવાર સુધી ટાળી હતી.
સુપ્રીમકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કેજરીવાલ અને તેમના વકીલને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવી જોઈએ અને પછી જ અમારી પાસે આવો. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટનો સ્ટે ન્યાયિક પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. તેના પછી જસ્ટિસ મનોજ મિશ્રએ કહ્યું કે હાઈકોર્ટ આજ-કાલમાં ચુકાદો આપવાની છે. તેના પર સિંઘવીએ કહ્યું કે જો જામીન રદ થશે તો અમારા અસીલ કેજરીવાલ ફરી જેલ જશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં કેજરીવાલ દ્વારા દાખલ અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યાં રાઉઝ એવન્યૂ કોર્ટના જામીનના નિર્ણય પર સ્ટે મૂકી દેવામાં આવ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું કે હાઈકોર્ટ તેમની અરજી એટલા માટે નથી સાંભળી રહ્યું કેમ કે આવો કેસ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં કહ્યું કે હાઈકોર્ટ તેની અરજી પાછી ખેંચી લે, પછી અમારી પાસે આવે.
આ મામલે સુનાવણી હાથ ધરતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે બુધવારે સુનાવણી હાથ ધરીશું. એટલે કે હાઈકોર્ટના આદેશની રાહ જોઈશું. હાલ યથાસ્થિતિ રહેશે. બુધવારે સુનાવણી થાય તે પહેલ આશા રાખીએ છીએ કે દિલ્હી હાઈકોર્ટ આદેશ આપી દેશે. હાઈકોર્ટે આદેશ અનામત રાખ્યો છે એટલા માટે અમારી દખલ યોગ્ય ન ગણાય.
