ભુજ તાલુકાના દુર્ગમ બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોરડો થી 6 કિલોમીટર દૂર સફેદ રણ તરફ જતા માર્ગે આવેલા ગોડાઉનમાં વન વિભાગ હસ્તકના એક લાખ કિલોગ્રામથી વધુના ઘાસચારાના જથ્થામાં વિકરાળ આગ ફાટી નીકળી છે. રાત્રિના 12 વાગ્યાથી કોઈ કારણોસર ભભૂકેલી આગ સવારના 11 વાગ્યા સુધી યથાવત રહેવા પામી છે. ભુજ ફાયર વિભાગ અને વન વિભાગના ટેન્કરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તબક્કે આગથી લાખો રૂપિયાનો ઘાસનો જથ્થો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે બન્ની વિસ્તારના ડીએફઓ ડીએમ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આગની ઘટના રાત્રિના 12 વાગ્યા આસપાસ બની હતી. 1 લાખ 9 હજાર કિલો જેટલા ઘાસચારાનાં જથ્થામાં આ આગ ફેલાઈ છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના ફાયર ફાયટર અને વન વિભાગના પાણીના ટેન્કરો તેમજ જેસીબી મશીન સહિતની સાધન સામગ્રી કામે લાગી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ ખ્યાલ આવશે. પ્રાથમિક તબક્કે આગ છેલ્લા ત્રણ વર્ષથી પડતર પડેલા ઘાસચારામાં ભારે ગરમીના કારણે બફારો થવાનું પ્રમાણ વધી ગયું હોય કે ઘર્ષણ થતા આગ લાગી હોય એગી સંભાવના છે. ગોડાઉન સ્થળે સતત ચોકીદાર ફરજ પર હાજર રહે છે.
દરમિયાન આકસ્મિક રીતે લાગેલી આગનું કારણ સચોટ તપાસ બાદ માલુમ પડી છે. આ વિશે સ્થાનિક અગ્રણી ઈશા મુતવા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અંદાજીત બે લાખ જેટલો ઘસચારો આગ લાગવાથી સળગી ઉઠ્યો છે. ચારે તરફથી પેક ગોડાઉનમાં આગ બુઝાવનું કાર્ય કઠિન છે. વધુ પડતી આગના કારણે ગોડાઉન તૂટી પડવાનો ભય પણ રહેલો છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સમજમાં ના આવતા સ્થાનિકે તર્ક વિતર્ક સર્જાયા છે.
